13 March, 2026 02:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપરા
પ્રિયંકા ચોપડા હિન્દી સિનેમાની એવી સ્ટાર છે જેણે ગ્લોબલ સ્તરે પોતાની ઓળખ બનાવી છે. હાલમાં પ્રિયંકાએ હિન્દી ફિલ્મોમાં પોતાની સફર વિશે વાત કરી છે. આ વાત કરતી વખતે તેણે બૉલીવુડના ‘ડર્ટી પૉલિટિક્સ’ પર કોઈનું નામ લીધા વગર કમેન્ટ પણ કરી છે અને કહ્યું છે કે તે ‘ગંદકી’માં રહી શકતી નથી.
પ્રિયંકાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું ભારતની બહાર તક શોધવાનો નિર્ણય તેની બૉલીવુડ-કરીઅરમાં આવેલા પડકારોને કારણે લીધો હતો? ત્યારે જવાબ આપતાં પ્રિયંકાએ બૉલીવુડમાં ચાલતા રાજકારણ તરફ ઇશારો કરતાં કહ્યું હતું કે ‘કંઈ પણ સરળતાથી મળતું નથી. દરેકને સંઘર્ષ કરવો પડે છે. હું એવી વ્યક્તિ નથી જેને ગંદકીમાં રહેવું ગમે, કારણ કે પછી એની સ્મેલ એટલે કે દુર્ગંધની આદત પડી જાય છે. મને બદલાવમાં વિશ્વાસ છે. જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે આપણામાં એ ક્ષમતા હોવી જોઈએ કે આપણે પોતાને સંભાળી શકીએ અને પોતાના પર લાગેલી ગંદકી સાફ કરી શકીએ. થોડા સમય માટે એ દુખને અનુભવવું પણ પડે, પરંતુ ત્યાર બાદ વિશ્વાસ સાથે આગળ વધવું જોઈએ. મારા કરીઅરમાં મેં ઘણી વાર એવું કર્યું છે.’