24 July, 2026 11:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર માધવન
‘3 ઇડિયટ્સ’ના ઍક્ટર અને ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII)ના ચૅરમૅન આર. માધવને આખરે દિલ્હીમાં ચાલી રહેલા કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) અને વિદ્યાર્થીઓના આંદોલન મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. FTIIના વિદ્યાર્થીઓએ હાલમાં તેની ઑફિસની નેમપ્લેટ પર ‘ગાયબ’નું ટૅગ લગાવ્યા બાદ માધવને આ મુદ્દાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સોશ્યલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં તેણે વિદ્યાર્થી-આંદોલન, શિક્ષણ-વ્યવસ્થા અને પેપર-લીકના મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે.
પોતાની પોસ્ટમાં માધવને લખ્યું હતું કે ‘દેશના નિર્માણમાં શિક્ષણનું ખૂબ મહત્ત્વ છે. દરેક વિદ્યાર્થી પોતાની લાયકાતના આધારે સારી શિક્ષણ-વ્યવસ્થા અને નિષ્પક્ષ તકનો હકદાર છે. ભારતના યુવાનોની અમાપ ક્ષમતામાં વિશ્વાસ રાખનારી વ્યક્તિ તરીકે હું આજે અનેક વિદ્યાર્થીઓ અને તેમનાં માતા-પિતાની ચિંતા અને નિરાશાને સમજી શકું છું. શિક્ષણ-વ્યવસ્થા એવી હોવી જોઈએ જે આત્મવિશ્વાસ, નિષ્પક્ષતા અને સમાન તકની ભાવના જગાવે. પેપર-લીક જેવી ઘટનાઓ આ વિશ્વાસને નબળો બનાવે છે અને અસંખ્ય યુવાનો તથા તેમના પરિવારોની આશા, મહેનત અને સપનાંને ગંભીર અસર પહોંચાડે છે. ખાસ કરીને ભારત જેવા દેશમાં શિક્ષણનું ખાસ મહત્ત્વ છે, કારણ કે એ ગરીબીમાંથી બહાર આવવાનું સૌથી મોટું સાધન છે. હું સરકારને અપીલ કરું છું કે આ મામલામાં દોષિત સાબિત થયેલ દરેક વ્યક્તિને ઝડપથી અને કડક સજા આપવામાં આવે. સજા એટલી કડક અને સ્પષ્ટ હોવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આપણા યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરવાની હિંમત ન કરે. મને વિશ્વાસ છે કે સરકાર ભૂતકાળની ખામીઓને સ્વીકારીને જરૂરી સુધારાત્મક પગલાં લેશે, શિક્ષણ-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે અને આવનારી પેઢીઓ માટે શિક્ષણનું ગૌરવ જાળવી રાખશે. આજે જે યુવાનો નિરાશા અનુભવી રહ્યા છે તેમને મારી વિનંતી છે કે તેઓ હિંમત ન હારે. તમારી પ્રતિભા, તમારી મહેનત અને તમારું ચારિત્ર કોઈપણ વ્યવસ્થાની ખામીઓ કરતાં ઘણું મોટું છે. સતત મહેનત કરો, પોતાના પર વિશ્વાસ રાખો અને નાની-મોટી અડચણોને તમારા ભવિષ્ય પર હાવી થવા ન દો.’