મેં મારા દીકરાને ૧૫ વર્ષ સુધી ફ્રી ટાઇમ આપ્યો જ નથી

14 May, 2026 11:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આર. માધવને પોતે અપનાવેલા પેરન્ટિંગના નિયમો વિશે વાત કરી

આર. માધવન દીકરા સાથે

આર. માધવન ઘણી વખત કહી ચૂક્યો છે કે સમૃદ્ધ અને સુવિધાસભર વાતાવરણમાં ઊછરવા છતાં તેણે પોતાના પુત્ર વેદાંતને મજબૂત સંસ્કારો સાથે ઉછેર્યો છે. વેદાંત આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરતો સ્વિમર છે. હાલમાં આર. માધવને એક કાર્યક્રમમાં આધુનિક પેરન્ટિંગ, સામાજિક દબાણ અને પોતાના પુત્રના ઉછેર માટે અપનાવેલા નિયમો વિશે ખુલાસો કર્યો હતો.

માધવને જણાવ્યું કે તે ઇચ્છતો હતો કે વેદાંત પોતાના જીવનમાં કૃતજ્ઞતા અને મળેલા વિશેષાધિકારોની સમજ રાખે. માધવને કહ્યું, ‘મેં હંમેશાં આગ્રહ રાખ્યો કે વેદાંત લિફ્ટમેન, ગાર્ડ અને ડ્રાઇવરોનું સન્માન કરે. તેમને ‘આયા’ કહીને ન બોલાવે, પરંતુ ‘દીદી’ કહીને સંબોધે. જ્યારે વૉચમેન આવીને કહેતા કે તમારો દીકરો ખૂબ સંસ્કારી છે, તે હંમેશાં મને નમસ્તે કરે છે ત્યારે મને લાગતું કે મેં પિતા તરીકે મારું કામ સારું કર્યું.’

માધવને પોતાનો જીવનનો અનુભવ યાદ કરતાં કહ્યું, ‘હું મારા જીવનના એક તબક્કે કૅનેડાના એક એવા શહેરમાં રહેતો હતો જ્યાં કિશોરોમાં પ્રેગ્નન્સી, ડ્રગ્સ અને દારૂ જેવી સમસ્યાઓ સામાન્ય હતી. જોકે એક એવો પરિવાર હતો જેનાં બાળકો આસપાસના વાતાવરણ છતાં ખૂબ શિસ્તબદ્ધ અને સંસ્કારી હતાં. મેં એ મહિલાને આનું કારણ પૂછતાં તેણે કહ્યું હતું કે તમારા બાળકને ફ્રી સમય નહીં આપતા; બાળકને જે ગમે તે કામમાં રસ લેવાની છૂટ આપો, બસ તે કામ ઉત્સાહ અને જુસ્સાથી કરતું હોવું જોઈએ; રસ અને કમિટમેન્ટ સમય સાથે બદલાઈ શકે, પરંતુ ૧૫-૧૬ વર્ષની ઉંમર સુધી તેમને ખાલી સમય ન આપો; એક પ્રવૃત્તિથી બીજી પ્રવૃત્તિમાં વ્યસ્ત રાખો; એ મજેદાર હોવું જોઈએ, બોજારૂપ નહીં. મેં પછી આ સલાહ દિલથી અનુસરી અને એ મારા પુત્ર માટે અસરકારક સાબિત થઈ.’

r madhavan relationships entertainment news bollywood bollywood news