24 August, 2026 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આર માધવન અને આદિત્ય ધર
આર. માધવને ‘ધુરંધર’ના ડિરેક્ટર આદિત્ય ધરનાં વખાણ કરતાં કહ્યું હતું કે ફિલ્મને એકદમ પર્ફેક્ટ બનાવવા અને એની નાનામાં નાની બાબતોને સુધારવા માટે ડિરેક્ટર આદિત્ય ધરે આશરે ૧૦ કરોડ રૂપિયા અલગથી ખર્ચ્યા હતા. આ રકમ માત્ર ફિલ્મના ડિટેલિંગ અને ક્વૉલિટીને વધુ સારી બનાવવા માટે ખર્ચવામાં આવી હતી, કારણ કે આદિત્ય ઇચ્છતો હતો કે ફિલ્મનો દરેક સીન અને દરેક ફ્રેમ દર્શકોને એકદમ વાસ્તવિક અને શ્રેષ્ઠ લાગે.
આદિત્યના આ આગ્રહ વિશે વાત કરતાં માધવને કહ્યું, ‘જ્યારે મને આ વિશે જાણ થઈ હતી ત્યારે મારા માટે આ આશ્ચર્યજનક વાત હતી. મારા મનમાં એ જ સવાલ આવ્યો હતો કે આખરે આટલી નાની-નાની બાબતો પાછળ આટલા પૈસા ખર્ચવાની શું જરૂર છે? આટલું ડિટેલિંગ આખરે કોણ જોવાનું છે? જોકે પછી જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે મારી વિચારસરણી સંપૂર્ણપણે બદલાઈ ગઈ. ‘ધુરંધર’ની સફળતા એ વાતનો પુરાવો છે કે ડિટેલિંગ અને મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી. જો ફિલ્મની દરેક બાબત પર ઈમાનદારીથી કામ કરવામાં આવે તો દર્શકો એને ચોક્કસ અનુભવે છે.’