12 September, 2026 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હવે સંત પ્રેમાનંદ મહારાજના જીવન પર આધારિત રાધા અંશ બનાવવાની જાહેરાત
‘હનુમાન અંશ’એ બૉક્સ-ઑફિસ પર પોતાની પકડ મજબૂત કરી લીધી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં ૨૦૦ કરોડ રૂપિયાની ક્લબમાં સામેલ થવાની છે. બાબા નીમ કરોલી મહારાજની કહાની અને હનુમાન પ્રત્યેની તેમની ભક્તિએ દર્શકો પર ઊંડી અસર કરી છે. આ ફિલ્મની સફળતાને પગલે હવે વૈષ્ણવ કિન્નર અખાડાનાં જગદ્ગુરુ શંકરાચાર્ય હિમાંગી સખીએ સંત પ્રેમાનંદ મહારાજના જીવન પર આધારિત ‘રાધા અંશ’ નામની ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.
હિમાંગી સખીએ આ પ્રોજેક્ટ વિશે માહિતી આપી હતી કે તેમણે ફિલ્મની પ્રોડક્શન ટીમ સાથે આ ફિલ્મ વિશે વાત કરી છે અને ટીમ ફિલ્મ બનાવવા માટે સહમત થઈ ગઈ છે. જોકે આ મામલે સંત પ્રેમાનંદ મહારાજ અને તેમના સહયોગીઓની જરૂરી મંજૂરી હજુ બાકી છે એટલે હિમાંગી સખી ટૂંક સમયમાં સંત પ્રેમાનંદ મહારાજને મળીને ફિલ્મ માટે પરવાનગી લેશે.
હજી ફિલ્મની જાહેરાત થઈ છે ત્યાં જ એના કાસ્ટિંગને લઈને પણ રસપ્રદ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. હિમાંગી સખીએ સ્પષ્ટપણે કહ્યું કે માત્ર એવા કલાકારોને કાસ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે જેમની ભલામણ સંત પ્રેમાનંદ મહારાજના સહયોગીઓએ કરી હોય, તેમ જ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પાસેથી ફિલ્મમાં મદદ માટે સહયોગ માગવામાં આવશે.