24 January, 2026 12:55 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આલોકનાથ
ફિલ્મ અને ટીવી-ઇન્ડસ્ટ્રીમાં ‘સંસ્કારી’ અભિનેતા તરીકે જાણીતા આલોકનાથ પર જ્યારે MeToo અભિયાન દરમ્યાન હૅરૅસમેન્ટ અને બળાત્કાર જેવા ગંભીર આરોપો લાગ્યા ત્યારે દરેક વ્યક્તિ ચોંકી ગઈ હતી. તેના વિશે કહેવામાં આવ્યું હતું કે શરાબ પીધા પછી તે પોતાના પરનો કન્ટ્રોલ ગુમાવી દેતો હતો. હવે આલોકનાથના એક નજીકના મિત્ર રાજેશ પુરીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘તેના પર લાગેલા આરોપો પછી આલોકનાથ સંપૂર્ણપણે એકાંતમાં રહે છે અને ઇન્ડસ્ટ્રીમાંથી અદૃશ્ય થઈ ગયો છે. હું અને આલોકનાથ દિલ્હીથી મુંબઈ પહેલી વખત એક જ ટ્રેનમાં આવ્યા હતા. અમે ઘણી ફિલ્મો એકસાથે કરી અને આગળ વધવાની પૂરી પ્રક્રિયામાં અમે સાથે જ હતા.’
આલોકનાથ વિશે વાત કરતાં રાજેશે કહ્યું હતું કે ‘આલોકનાથ સાફ દિલનો માણસ છે પણ તેની નશાની આદતને કારણે સમસ્યાઓ થઈ છે. MeToo આરોપોથી આલોક ખૂબ આહત થયો છે. તે ક્યાંય બહાર નથી જતો અને ઘરમાં જ રહે છે. તેણે બધા સાથે સંબંધ તોડી નાખ્યા છે અને ફોન પર પણ ખાસ વાત નથી કરતો. મને અફસોસ થાય છે કે એક સારી ટૅલન્ટ મિસ થઈ રહી છે. આલોક કોઈ ઑફર ઍક્સેપ્ટ નથી કરતો. તેને પૂછો તો કહેશે કે હું ઘરેથી કામ કરું છું. હવે તેણે ગુરુજીનું શરણ લીધું છે, પરંતુ સત્સંગ સુધી પણ જવાનું પસંદ નથી કરતો. તે એકલતામાં જીવે છે.’