18 May, 2026 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રજનીકાંત, વિજય
તામિલ સુપરસ્ટાર રજનીકાંતે ગઈ કાલે ચેન્નઈમાં પોતાના નિવાસસ્થાને પ્રેસ કૉન્ફરન્સ યોજી હતી. હકીકતમાં તામિલનાડુ ચૂંટણીના પરિણામ પછી રજનીકાંતની કથિત ચુપ્પીને લઈને ચાલી રહેલી ચર્ચાઓ બાદ આ પ્રેસ કૉન્ફરન્સ યોજાઈ હતી. કેટલાક લોકો માનતા હતા કે રજનીકાંત આ પરિણામથી નારાજ છે, જ્યારે કેટલાકનો દાવો હતો કે તેઓ પક્ષોના વિલયનો પ્રયાસ કરી રહ્યા છે. હવે રજનીકાંતે આ તમામ વાતોની સ્પષ્ટતા કરી છે.
રજનીકાંતે આ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે ‘જો હું મારા વિશે ફેલાયેલી અફવાઓનો જવાબ નહીં આપું તો લોકો એને સાચી માની લેશે. ચૂંટણીના પરિણામ બાદ હું એમ.કે. સ્ટૅલિનને મળવા ગયો હતો અને એ ચર્ચાનો વિષય બની ગયો. અમારી મિત્રતા રાજકારણથી પર છે. એમ.કે. સ્ટૅલિન હારી ગયા એ સાંભળી મને દુઃખ થયું હોવાને કારણે હું તેમને મળવા ગયો હતો.’
રજનીકાંત પર એવો આરોપ પણ લાગ્યો હતો કે TVKને બહુમતી મળ્યા બાદ તેમણે વિજયને અભિનંદન આપ્યાં નહોતાં. આ અંગે તેમણે કહ્યું, ‘અફવાઓ ફેલાવાઈ રહી હતી કે મેં કહ્યું કે વિજયે મુખ્ય પ્રધાન ન બનવું જોઈએ અથવા હું બે પાર્ટીઓનો વિલય કરાવવાનો પ્રયાસ કરી રહ્યો છું. કેટલાક લોકો કહી રહ્યા હતા કે મેં તેમને ઍરપોર્ટ પર અભિનંદન આપ્યાં નહોતાં એ વાત ખોટી છે. મુખ્ય પ્રધાન બનતાં જ મેં તેમને અભિનંદન પાઠવ્યાં હતાં. રજનીકાંત કોઈ નીચ અથવા ઘટિયા પ્રકારનો માણસ નથી કે કોઈ વિશે બિનજરૂરી ટિપ્પણી કરે. હું તો રાજકારણમાં જ નથી, તો વિજયથી ઈર્ષ્યા શા માટે કરું? કદાચ કમલ હાસન મુખ્ય પ્રધાન બન્યો હોત તો ઈર્ષ્યા થાત. વિજય અને મારી વચ્ચે ૨૫ વર્ષનું અંતર છે. જો અમે આવું કરીએ તો એ સારું નહીં લાગે.’
જ્યારે વિજયની પાર્ટી રાજ્યપાલ સમક્ષ બહુમતી સાબિત કરવા માટે સંઘર્ષ કરી રહી હતી ત્યારે રજનીકાંતે કોઈ ટિપ્પણી ન કરી અને વિજયના શપથવિધિ સમારંભમાં તેમણે હાજરી ન આપી એ કારણે પણ તેમની ટીકા થઈ હતી. આ અંગે પ્રેસ કૉન્ફરન્સમાં રજનીકાંતે કહ્યું, ‘હું ક્યારેય કોઈ શપથવિધિ સમારંભમાં ગયો નથી. શું તમે મને અગાઉના મુખ્ય પ્રધાનોના શપથવિધિ સમારંભમાં ક્યારેય જોયો છે?’