28 May, 2026 09:47 AM IST | Shahjahanpur | Gujarati Mid-day Correspondent
રાજપાલે મુલાકાત દરમ્યાન બાળકો સાથે એ જ બેન્ચ પર બેસીને ફોટો પડાવ્યા હતા જ્યાં તેઓ અભ્યાસ કરે છે
૯ કરોડ રૂપિયાના ચેક બાઉન્સિંગના કેસમાં રાજપાલ યાદવે પાંચમી ફેબ્રુઆરીએ તિહાર જેલમાં સરેન્ડર કર્યું હતું. આ પછી રાજપાલની મદદ કરવા માટે ઘણા લોકો આગળ આવ્યા હતા. આ સમયે નાનાં-નાનાં બાળકોએ પોતાના ગુલ્લકમાંથી પૈસા કાઢીને રાજપાલને મદદ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. રાજપાલ એ બાળકોને મળવા પહોંચ્યો હતો અને તેમના પર ભરપૂર પ્રેમ વરસાવ્યો. આ મુલાકાત દરમ્યાન રાજપાલ ખૂબ જ ઇમોશનલ થઈ ગયો હતો અને તેણે કહ્યું હતું કે ‘આ એવો સમય હતો જ્યારે આ બાળકોની લાગણી જોવા મળી હતી. આ સ્નેહની કિંમત અમૂલ્ય છે. જલદી જ બાળકોની આ લાગણીનો જવાબ આપીશું.’
રાજપાલે મુલાકાત દરમ્યાન બાળકો સાથે એ જ બેન્ચ પર બેસીને ફોટો પડાવ્યા હતા જ્યાં તેઓ અભ્યાસ કરે છે. તેણે બાળકો સાથે અંદાજે અડધો કલાક સમય વિતાવ્યો હતો અને બાળકો પણ તેને પોતાની વચ્ચે જોઈને ખૂબ ખુશ થયાં હતાં.
બાળકોએ રાજપાલને તેમને પોતાના હાથે બનાવેલા ગ્રીટિંગ કાર્ડ અને શૉપીસ ભેટમાં આપ્યાં હતાં. રાજપાલે ખુશી વ્યક્ત કરીને બાળકોને ફરી મળવાનું વચન પણ આપ્યું હતું. આ મુલાકાત પછી રાજપાલે કહ્યું હતું કે ‘આ અમારા ઉત્તર પ્રદેશના શાહજહાંપુરનાં બાળકો છે. તેમના તરફથી મળેલા સ્નેહની કોઈ કિંમત નથી. આ પ્રેમને કેવી રીતે પરત આપવો એ વિશે હમણાં કંઈ કહેવું નથી, પરંતુ આ બાળકો અમારાં પોતાનાં છે. હું શાહજહાંપુરની એક-એક ગલીમાં પગપાળા ફરી ચૂક્યો છું. આ બાળકો માટે મારું આખું જીવન કુરબાન છે.’