26 March, 2026 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
`સરકાર`નું પોસ્ટર
ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે ‘સરકાર 4’નું શૂટિંગ શરૂ કરવાની તૈયારીમાં હતા. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલમાં શરૂ થવાનું હતું, પરંતુ હવે તેણે આ પ્લાન કૅન્સલ કરી દીધો છે. ‘સરકાર’નો પહેલો ભાગ ૨૦૦૫માં આવ્યો હતો, ત્યાર બાદ ૨૦૦૮માં બીજી ફિલ્મ અને ૨૦૧૭માં ત્રીજો ભાગ રિલીઝ થયો હતો. હાલમાં ચર્ચા હતી કે રામગોપાલ વર્મા હવે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને લઈને ‘સરકાર 4’ બનાવવાના છે.
‘સરકાર 4’ બનાવવાનો પ્લાન પડતો મૂકવાના નિર્ણય વિશે વાત કરતાં રામ ગોપાલ વર્માએ જણાવ્યું હતું કે ‘મને નથી લાગતું કે ‘ધુરંધર’ની બન્ને ફિલ્મો જોયા પછી કોઈ ‘સરકાર’ અથવા બીજી કોઈ ગૅન્ગસ્ટર ફિલ્મ જોવાનું પસંદ કરશે. આ કારણોસર જ હું હવે ‘સરકાર 4’ બનાવી રહ્યો નથી. મારી પહેલાંની તમામ ગૅન્ગસ્ટર ફિલ્મો ‘ધ ગૉડફાધર’થી પ્રેરિત હતી. ભલે એ ‘સત્યા’ હોય, ‘કંપની’ હોય કે ‘સરકાર’. ક્યારેક હું ફક્ત ફિલ્મ બનાવવાની ઇચ્છા માટે પણ ફિલ્મો બનાવતો હતો. હું એટલો આત્મવિશ્વાસી હતો કે મને લાગતું કે સેટ પર જઈશ અને ફિલ્મ બની જશે.’
રામ ગોપાલ વર્માએ પોતાની અત્યારની માનસિકતા વિશે જણાવ્યું હતું કે ‘લોકો મને પૂછે છે કે હું ‘ધુરંધર’ વિશે કેમ બોલી રહ્યો છું, કારણ કે આદિત્ય ધર પોતાના ઉદ્દેશ પ્રત્યે ઈમાનદાર છે. તેમણે ‘ધુરંધર’ બનાવી કારણ કે તેમની પાસે કહેવા જેવી વાર્તા હતી, કોઈને કંઈ સાબિત કરવા માટે નહીં. હું મારી વિચારસરણી ફરીથી સેટ કરવા ઇચ્છું છું. જેમ હું કૉલેજના સમયમાં સ્ટીવન સ્પીલબર્ગ વિશે વિચારતો હતો, એમ જ હવે હું આદિત્ય ધર માટે અનુભવું છું. હું આદિત્યના કામથી ખૂબ પ્રભાવિત છું. એમાં ખોટું શું છે? શું ૬૮ વર્ષની ઉંમરે હું ફૅન ન બની શકું?’