17 February, 2026 08:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મનું પોસ્ટર
રણબીર કપૂર અને સાઈ પલ્લવીને ભગવાન રામ અને સીતાજીના રોલમાં ચમકાવતી આગામી ફિલ્મ ‘રામાયણ’નું બજેટ ૪૦૦૦ કરોડ રૂપિયા છે. હવે આ બજેટ વસૂલ કરવા માટે ફિલ્મમેકર્સે ગ્રૅન્ડ પ્લાન બનાવ્યો હોવાની માહિતી મળી છે.
એક રિપોર્ટ પ્રમાણે ‘રામાયણ’ ઇન્ડિયન સિનેમાની સૌથી મોટી રિલીઝ બનશે. અત્યાર સુધી ૧૨,૦૦૦થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થયેલી અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2’ને સૌથી મોટી ઇન્ડિયન રિલીઝ માનવામાં આવતી હતી. નવી માહિતી અનુસાર ‘રામાયણ’ એનાથી ત્રણ ગણાથી પણ વધુ, લગભગ ૪૨,૦૦૦ સ્ક્રીન્સ પર રિલીઝ થવાની છે.
મળતી માહિતી પ્રમાણે ‘રામાયણ’ના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ પોતાના આ પ્રોજેક્ટ માટે મજબૂત ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ગોઠવ્યું છે જેના પગલે ઇન્ડિયાથી લઈને ઇન્ટરનૅશનલ માર્કેટ સુધી ‘રામાયણ’નું ડિસ્ટ્રિબ્યુશન ટોચના ડિસ્ટ્રિબ્યુટર પાસે છે. આ નેટવર્ક પોતે જ કોઈ પણ ફિલ્મને ધમાકેદાર હિટ બનાવવાની તાકાત ધરાવે છે.
આ ડિસ્ટ્રિબ્યુટર્સ ભારત અને વિદેશમાં ‘રામાયણ’ને વર્લ્ડવાઇડ લગભગ ૪૦,૦૦૦થી વધુ સ્ક્રીન્સમાં રિલીઝ કરે એવો અંદાજ છે, જેના કારણે ૪૦૦૦ કરોડનું બજેટ સરળતાથી વસૂલ થઈ શકે છે.