09 April, 2026 04:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નમિત મલ્હોત્રા
રણબીર કપૂર અભિનીત ફિલ્મ ‘રામાયણ’ આ વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંથી એક બની ગઈ છે. નિર્માતાઓએ આ ફિલ્મના બન્ને ભાગ માટે આશરે ૪૦૦૦ કરોડ રૂપિયાનો વિશાળ ખર્ચ કર્યો છે. હનુમાન જયંતીના અવસરે નિર્માતાઓએ ફિલ્મનું પ્રથમ ટીઝર રિલીઝ કર્યું જેમાં રણબીર કપૂરનો ભગવાન રામ તરીકેનો લુક સામે આવ્યો હતો. ફિલ્મના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ આ લુક પર મળતી પ્રતિક્રિયાઓ વિશે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે.
નમિત મલ્હોત્રાએ ચાહકોની પ્રતિક્રિયાઓ માટે આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે ટીમ તમામ પ્રતિસાદને ગંભીરતાથી લઈ રહી છે. તેમણે કહ્યું કે તેમની ટીમ આ દિવાળીએ ‘રામાયણ’નું શ્રેષ્ઠ વર્ઝન મોટા પડદા પર રજૂ કરવા માટે સતત મહેનત કરી રહી છે.
નમિત મલ્હોત્રાએ સોશ્યલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપતાં લખ્યું કે ‘છેલ્લા કેટલાક દિવસોમાં મળેલી પ્રતિક્રિયાઓ અદ્ભુત, પ્રેરણાદાયક અને વિનમ્ર બનાવનારી છે. દુનિયાભરના લોકોના દિલને ‘રામાયણ’ સ્પર્શી રહી છે જે મારા માટે ગૌરવ અને આનંદની વાત છે. આ એક એવી વાર્તા છે જે અબજો લોકોના મનમાં વસે છે અને એને ખૂબ જ સંભાળ અને સન્માન સાથે રજૂ કરવાની જરૂર છે.’