17 July, 2026 03:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર અને રાહા કપૂર
રણબીર કપૂરની દિવાળી વખતે રિલીઝ થનારી આગામી ફિલ્મ ‘રામાયણ’નું ૨૪ જુલાઈએ દિલ્હીમાં ભારત મંડપમ ખાતે ટ્રેલર-લૉન્ચનું ફંક્શન છે એવા રિપોર્ટ છે. જોકે આ કાર્યક્રમના થોડા દિવસો પહેલાં જ રણબીરને કન્જન્ક્ટિવાઇટિસ તરીકે ઓળખાતો આંખનો ચેપ થયો હોવાનું સામે આવ્યું છે. જોકે રણબીર પોતાનું કમિટમેન્ટ જાળવી રાખીને આયોજન મુજબ દિલ્હીમાં યોજાનારા આ ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે. જોકે સાવચેતીના ભાગરૂપે તે કાર્યક્રમમાં કાળાં ચશ્માં પહેરી શકે છે. રણબીરને લાગેલા આ ચેપ વિશે માહિતી આપતાં તેની નજીકની એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘રણબીર કપૂરને કન્જન્ક્ટિવાઇટિસ થયો છે. સૌથી પહેલાં તેની દીકરી રાહાને ચેપ લાગ્યો હતો અને એક પ્રેમાળ પપ્પાની જેમ તેની સંભાળ રાખતા રણબીરને પણ ચેપ લાગી ગયો. જોકે હવે તે ધીમે-ધીમે રિકવર થઈ રહ્યો છે.’
સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)એ ૧૫ જુલાઈએ ફિલ્મ ‘રામાયણ’ના ટ્રેલરને ‘U’ સર્ટિફિકેટ સાથે મંજૂરી આપી છે. આ ટ્રેલર સામાન્ય ફિલ્મોના ટ્રેલર કરતાં વધુ લાંબું છે અને એનો રનટાઇમ પણ વધારે છે. રિપોર્ટ પ્રમાણે સેન્સર બોર્ડ પાસે ફિલ્મનાં બે ટ્રેલર રજૂ કરવામાં આવ્યાં હતાં અને બન્ને ટ્રેલરને મંજૂરી મળી છે. એક ટ્રેલરનો રનટાઇમ ૪ મિનિટ ૧૫ સેકન્ડ છે, જ્યારે બીજા ટ્રેલરનો રનટાઇમ ૪ મિનિટનો હોવાની માહિતી મળી છે. આ ફિલ્મનું ટ્રેલર ૨૪ જુલાઈએ રિલીઝ થશે, પણ કયું ટ્રેલર રિલીઝ થશે એની સ્પષ્ટતા કરવામાં આવી નથી. ટ્રેલર-લૉન્ચ ઇવેન્ટ દેશની રાજધાની નવી દિલ્હીમાં યોજાશે જેમાં ડિરેક્ટર નિતેશ તિવારી, નિર્માતા નમિત મલ્હોત્રા તેમ જ ફિલ્મના અનેક કલાકારો હાજરી આપે એવી શક્યતા છે.