26 November, 2025 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રણબીર કપૂર
રણબીર કપૂર હાલમાં એક વિવાદમાં ફસાઈ ગયો છે. થોડા સમય પહેલાં રિપોર્ટ આવ્યો હતો કે રણબીરે તેની આગામી ફિલ્મ ‘રામાયણ’ના શૂટિંગની શરૂઆત પહેલાં નૉન-વેજ ખાવાનું બંધ કર્યું છે. હકીકતમાં નિતેશ તિવારીની આ ફિલ્મમાં રણબીર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે અને એ માટે તે સાત્ત્વિક લાઇફસ્ટાઇલ ફૉલો કરી રહ્યો છે. એવી વાતો ફેલાઈ હતી. એવી પણ ચર્ચા હતી કે ભગવાન રામનો રોલ કરવા માટે રણબીરે સ્મોકિંગ પણ છોડ્યું છે અને હવે તે શિસ્તબદ્ધ જીવન જીવે છે, મેડિટેશન કરે છે અને મૉર્નિંગ વર્કઆઉટ પણ કરે છે.
જોકે હાલમાં નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ડૉક્યુમેન્ટરી ‘ડાઇનિંગ વિથ ધ કપૂર્સ’માં રણબીર ફિશ કરી, મટન અને પાયા જેવી નૉન-વેજ વાનગી ખાતો જોવા મળ્યો હતો એ પછી એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે રણબીરે ‘રામાયણ’ માટે નૉન-વેજ છોડ્યું હોવાની વાત સાવ ખોટી છે. કેટલાક લોકો તો એને પબ્લિસિટી સ્ટન્ટ ગણાવી રહ્યા છે.