ભગવાન રામ બનવા રણબીર કપૂરે બદલી નાખી આખી પર્સનાલિટી

11 September, 2026 11:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટરને રામાયણ માટે ટ્રેઇનિંગ આપનાર ટ્રેઇનરે કર્યો મોટો ખુલાસો

ફિલ્મમાં રણબીરને પાત્રને વધુ ઊંડાણથી સમજાવવામાં અનેક લોકોની મદદ મળી હતી

રણબીર કપૂર દિવાળીએ રિલીઝ થનારી ‘રામાયણ’માં પોતાની કરીઅરના સૌથી મહત્ત્વાકાંક્ષી પાત્ર એક ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં કામ કરવા માટેની રણબીરની તૈયારી વિશે હવે સેલિબ્રિટી ટ્રેનર શિવોહમે અનેક રસપ્રદ ખુલાસા કર્યા છે.

શિવોહમે ફિલ્મ માટે રણબીરની તૈયારીઓ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘રણબીરની તૈયારી માત્ર શરીર પર્ફેક્ટ બનાવવાની નહોતી. ભગવાન રામના શાંત અને સંતુલિત વ્યક્તિત્વને પડદા પર જીવંત ઉતારવા માટે તેણે પોતાની બૉડી-લૅન્ગવેજ, બેસવાની મુદ્રા, શ્વાસ લેવાની પદ્ધતિ તેમ જ યોગ અને પાત્રની ઊંડી સમજ પર પણ ખાસ મહેનત કરી હતી. જ્યારે રણબીરે ‘રામાયણ’ માટે તૈયારી શરૂ કરી ત્યારે એક વ્યક્તિ તેને યોગ્ય મુદ્રામાં કેવી રીતે બેસવું અને પોતાને કેવી રીતે પ્રસ્તુત કરવી એ શીખવવા આવતી હતી. આખરે તે ભગવાન રામ જેવું પવિત્ર પાત્ર ભજવી રહ્યો છે, જે ‘ઍનિમલ’ જેવી ફિલ્મના પાત્રથી સંપૂર્ણપણે અલગ છે. માત્ર ભગવાન રામ જેવો અભિનય કરવો પૂરતો નથી, પણ પાત્રમાં ઢળવાનો પ્રયાસ કરવો પડે. જો આવું નહીં કરાય તો ચહેરા પર એ શાંતિ અને સૌમ્યતા દેખાશે નહીં. એના માટે પોતાની અંદર પરિવર્તન લાવવું ખૂબ જ જરૂરી છે. ફિલ્મમાં રણબીરને પાત્રને વધુ ઊંડાણથી સમજાવવામાં અનેક લોકોની મદદ મળી હતી. એમાં શ્વાસ લેવાની કસરતો, યોગ, ધાર્મિક ગ્રંથોની સમજ અને ભગવાન રામની પૃષ્ઠભૂમિ વિશેનું અધ્યયન પણ સામેલ હતું. રણબીર સાથે એક વ્યક્તિ શ્વાસની કસરતો, યોગ, શાસ્ત્રોની સમજ અને ભગવાન રામની જીવનકથાને સમજાવવા પર કામ કરતો હતો. આ બધી બાબતો પાત્રને આત્મસાત્ કરવા માટે અત્યંત મહત્ત્વની છે. યોગ્ય માર્ગદર્શનને કારણે રણબીર ટૂંકા સમયગાળામાં જ આ પરિવર્તન કરી શક્યો. તેની તૈયારી માત્ર શારીરિક દેખાવ પૂરતી મર્યાદિત નહોતી; બૉડી-લૅન્ગવેજ, માનસિકતા અને સમગ્ર વ્યક્તિત્વને પણ નવી દિશા આપવામાં આવી હતી.’

ranbir kapoor ramayan nitesh tiwari upcoming movie entertainment news bollywood bollywood news