27 May, 2026 10:08 AM IST | Mysuru | Gujarati Mid-day Correspondent
રણવીરે મંદિરમાં પૂજા-અર્ચના કરી અને અહેવાલો મુજબ દેવી સમક્ષ માફી પણ માગી હતી
રણવીર સિંહ એક તરફ ‘ડૉન 3’ને લઈને વિવાદમાં છે ત્યારે તે ગઈ કાલે ‘કાંતારા’ના એક સીનની મિમિક્રી કરવાને કારણે સર્જાયેલી કાયદાકીય સમસ્યામાં કોર્ટના આદેશ પ્રમાણે દર્શન કરવા માટે મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો હતો. રણવીરે મંદિરમાં પૂજા-અર્ચના કરી અને અહેવાલો મુજબ દેવી સમક્ષ માફી પણ માગી હતી. આ પવિત્ર મંદિર કર્ણાટકના મૈસૂરથી આશરે ૧૩ કિલોમીટર દૂર ચામુંડી પર્વતો પર આવેલું છે. હિન્દુ ધર્મમાં આ મંદિરની ગણતરી પવિત્ર શક્તિપીઠોમાં થાય છે અને અહીં માતા સતીના વાળ પડ્યા હોવાનું માનવામાં આવે છે.
ગયા વર્ષે ગોવામાં આયોજિત ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI)ના મંચ પર રણવીર સિંહે ફિલ્મ ‘કાંતારા’ના અભિનેતા રિષબ શેટ્ટીની પ્રશંસા કરતી વખતે ‘દૈવ નૃત્ય’ની મિમિક્રી કરી હતી. આ નૃત્ય સ્થાનિક પરંપરામાં ચામુંડા દેવી (ચામુંડેશ્વરી)નાં પવિત્ર રૂપો સાથે જોડાયેલું હોવાથી લોકોએ આરોપ લગાવ્યો કે રણવીરે દેવી-દેવતાઓ અને પરંપરાની મજાક ઉડાવી છે. આ કારણે બૅન્ગલોરમાં રણવીર સામે પોલીસ ફરિયાદ થઈ હતી. કર્ણાટક હાઈ કોર્ટે રણવીર સિંહ સામેના કેસની સુનાવણી દરમ્યાન પોલીસ-ફરિયાદ રદ કરીને તેને રાહત આપી હતી પણ સાથે-સાથે આદેશ આપ્યો હતો કે તેણે એક મહિનાની અંદર મૈસૂરના ચામુંડેશ્વરી મંદિરે જઈને માફી માગવી પડશે.