04 May, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને રિષબ શેટ્ટી વચ્ચે શનિવારે દિલ્હીમાં ખાસ મુલાકાત યોજાઈ હતી
હાલમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને નૅશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મમેકર અને ઍક્ટર રિષબ શેટ્ટી વચ્ચે ખાસ મુલાકાત થઈ હતી. આ મુલાકાત દરમ્યાન પ્રાદેશિક વાર્તાઓના સાંસ્કૃતિક પ્રભાવ અને ભારતીય ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ભવિષ્ય વિશે ચર્ચા થઈ હતી. આ ખાસ મુલાકાત ‘કાંતારા’ ફ્રૅન્ચાઇઝીને વિશ્વભરમાં મળેલી મોટી સફળતા બાદ થઈ છે. આ ચર્ચા દરમ્યાન ગૃહપ્રધાને રિષબ શેટ્ટીના કામની પ્રશંસા કરીને જણાવ્યું કે તેનું કામ ભારતીય વારસાને વિશ્વ સમક્ષ રજૂ કરે છે.
આ મુલાકાતને યાદગાર ગણાવતાં રિષબ શેટ્ટીએ સોશ્યલ મીડિયા પર પોતાનો અનુભવ શૅર કરતાં કહ્યું હતું કે ‘માનનીય ગૃહપ્રધાનજીને મળવાનું સન્માન મળ્યું. આ મારી જિંદગીની સૌથી યાદગાર ક્ષણોમાંની એક બની, જ્યારે તેમણે ‘કાંતારા’ અને ‘કાંતારા : ચેપ્ટર 1’ માટે પ્રશંસા કરી. તેમની સાથે મારા આગામી પ્રોજેક્ટ્સ વિશે પણ ઉત્તમ ચર્ચા થઈ. મને સૌથી વધુ ખુશી ત્યારે થઈ જ્યારે તેમણે આપણા ઇતિહાસ, સંસ્કૃતિ, કલા અને ફિલ્મમેકિંગ વિશે પોતાની ઊંડી સમજ રજૂ કરી.’