27 April, 2026 03:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
છત્રપતિ શિવાજી મહારાજ મંદિરમાં રિતેશ-જેનેલિયાએ લીધા આશીર્વાદ
રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખે પહેલી મેએ મરાઠી, હિન્દી અને તેલુગુ ભાષામાં રિલીઝ થનારી પોતાની ફિલ્મ ‘રાજા શિવાજી’ની રિલીઝ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજ મંદિરમાં આશીર્વાદ લીધા હતા. આ માટે બન્નેએ થાણેના ભિવંડી ખાતે આવેલા મંદિરમાં જઈ પ્રાર્થના કરી હતી. મંદિરની મુલાકાત દરમ્યાન રિતેશ અને જેનેલિયા પરંપરાગત આરતી કરતાં જોવા મળ્યાં હતાં. આરતી પછી બન્નેએ ત્યાં હાજર ચાહકો સાથે મુલાકાત પણ કરી હતી.
આ પ્રસંગે મહા આરતી અને પરંપરાગત આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મહિલાઓ પરંપરાગત નવવારી સાડીમાં સજ્જ જોવા મળી હતી, જ્યારે ગામના લોકો મોટી સંખ્યામાં બન્ને કલાકારોની એક ઝલક મેળવવા માટે એકત્ર થયા હતા. આ સમયે ‘રાજા શિવાજી’ થીમ પર સુંદર રંગોળી પણ બનાવવામાં આવી હતી, જેણે સમગ્ર સ્વાગતને વધુ ખાસ બનાવી દીધું હતું.