16 July, 2026 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શાહરુખના 300 કરોડ રૂપિયાના મન્નતની હીરાજડિત નેમપ્લેટ છે પચીસ લાખ રૂપિયાની
શાહરુખ ખાનને સુપ્રીમ કોર્ટમાંથી લીલી ઝંડી મળી જતાં બાંદરા બૅન્ડસ્ટૅન્ડ પર આવેલા તેના બંગલા મન્નતમાં વધુ બે માળ ઉમેરવાનો માર્ગ હવે સાફ થઈ ગયો છે. શાહરુખે આ બંગલો ૨૦૦૧માં ૧૩ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને હાલમાં એની અંદાજિત કિંમત ૩૦૦ કરોડ રૂપિયા છે. દરિયાકિનારે આવેલો મન્નત આશરે ૨૭,૦૦૦ સ્ક્વેર ફુટ વિસ્તારમાં ફેલાયેલો છે. હાલમાં બંગલામાં ૬ માળ છે. સુપ્રીમ કોર્ટની પરવાનગી બાદ હવે એમાં વધુ બે માળ ઉમેરાશે જેનાથી એ કુલ ૮ માળનો બની જશે. આ બંગલાના આર્કિટેક્ટ રાજીવ પારેખ છે, જ્યારે એની ઇન્ટીરિયર ડિઝાઇન ગૌરી ખાન અને કૈફ ફાકીહે મળીને તૈયાર કરી છે. મન્નતની ડિઝાઇન જેટલી આકર્ષક છે એટલી જ ભવ્ય રીતે એની સજાવટ પણ કરવામાં આવી છે. આ બંગલાની નેમપ્લેટ એને વધુ ખાસ બનાવે છે. આ નેમપ્લેટની ડિઝાઇન શાહરુખની પત્ની ગૌરીએ કરી છે. આ ખાસ નેમપ્લેટની કિંમત આશરે પચીસ લાખ રૂપિયા છે અને એમાં હીરા જડાયેલા હોવાથી એની કિંમત આટલી વધુ છે.