03 July, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શેફાલી જરીવાલા
‘કાંટા લગા ગર્લ’ તરીકે જાણીતી ઍક્ટ્રેસ શેફાલી જરીવાલાનું શુક્રવાર, ૨૭ જૂનના ૪૨ વર્ષની ઉંમરે અવસાન થયું હતું. તેમના અચાનક મૃત્યુએ બધાને આઘાતમાં મૂકી દીધા છે. એવી ચર્ચા છે કે શેફાલીના અચાનક મૃત્યુનું કારણ ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ હોઈ શકે છે, પરંતુ આની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને અંતિમ પોસ્ટમૉર્ટમ રિપોર્ટની હજી પણ રાહ જોવાઈ રહી છે. આ બધાની વચ્ચે શેફાલીની નજીકની મિત્ર અને અભિનેત્રી પૂજા ઘઈએ એક ઇન્ટરવ્યુમાં આશ્ચર્યજનક ખુલાસો પણ કર્યો.
ઇન્ટરવ્યુ દરમિયાન પૂજા ઘઈને શેફાલીની ઍન્ટિ-એજિંગ ટ્રીટમેન્ટ લેવાની ચર્ચા વિશે પૂછવામાં આવ્યું હતું. આના જવાબમાં પૂજાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે કોઈના પર પર્સનલ કમેન્ટ કરવી યોગ્ય નથી. જોકે મને લાગે છે કે દરેક વ્યક્તિ આ લે છે અને મને ખાતરી છે કે દરેકને આની જરૂર હોય છે. આ ખૂબ સામાન્ય છે. જો તમે દુબઈની શેરીઓમાં ફરો છો તો તમને નિયમિત ક્લિનિક અને નિયમિત સૅલોંમાં ઘણી વિટામિન C ડ્રિપ જોવા મળશે, શેફાલી હંમેશાં સુંદર દેખાતી હતી. જ્યારે તેને તેના અંતિમ સંસ્કાર માટે ઘરે લાવવામાં આવી ત્યારે પણ તે ખૂબ સુંદર દેખાતી હતી.’
પૂજાએ ઇન્ટરવ્યુમાં કન્ફર્મ કર્યું છે કે શેફાલીએ મૃત્યુના દિવસે વિટામિન C ડ્રિપ લીધી હતી. પૂજાએ જણાવ્યું, ‘વિટામિન C લેવું ખૂબ જ સામાન્ય બાબત છે. કેટલાક લોકો ફક્ત એક ગોળી લે છે અને કેટલાક લોકો એને ઇન્ટ્રાવીનસ (આઇવી) ડ્રિપ દ્વારા લે છે. એ વાત સાચી છે કે તેણે એ દિવસે આઇવી ડ્રિપ લીધી હતી. મને ખબર છે કે તેણે એ દિવસે એ લીધી હતી કારણ કે પોલીસે એ માણસને બોલાવ્યો હતો જેણે તેને આઇવી ડ્રિપ આપી હતી.’