બાળકો પેદા કરવાને બદલે કૂતરા પાળો, કારણ કે એ હંમેશાં નિસ્વાર્થ પ્રેમ આપે છે

17 May, 2026 09:49 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ત્યાર બાદ ૨૦૦૦માં શેફાલીએ ફિલ્મમેકર વિપુલ અમૃતલાલ શાહ સાથે લગ્ન કર્યાં. આ દંપતીને આર્યમાન અને મૌર્ય નામના બે દીકરા છે.

શેફાલી શાહ

ઍક્ટ્રેસ શેફાલી શાહે લગ્ન, સંબંધો અને બાળકો વિશે ચર્ચા જગાવે એવાં નિવેદનો કર્યાં છે. તેણે લગ્ન અને માતા-પિતા બનવાના દબાણ વિશે વાત કરતાં યુવાનોને સલાહ આપી કે તેમણે પોતાને સારી રીતે સમજ્યા વગર જીવનના મોટા નિર્ણયો ઉતાવળમાં ન લેવા જોઈએ. આ સાથે જ બે દીકરાઓની મમ્મી શેફાલીએ એવું પણ કહ્યું કે લોકોએ બાળકોને જન્મ આપવા કરતાં કૂતરા પાળવા જોઈએ, કારણ કે કૂતરા નિસ્વાર્થ પ્રેમ કરે છે. શેફાલીએ યુવતીઓને સલાહ આપી કે તેમણે ક્યારેય નાની વયે લગ્ન ન કરવાં જોઈએ. આ મુદ્દા વિશે વાત કરતાં શેફાલીએ કહ્યું, ‘ભગવાન માટે નાની વયે ક્યારેય લગ્ન ન કરશો. એ સમયે તમને તો એ પણ ખબર નથી હોતી કે તમને તમારા શરીરનો કયો ભાગ ગમે છે. આ કારણે ઉતાવળ ન કરો અને શાંતિથી રહો. લગ્નનો નિર્ણય લેતાં પહેલાં લોકોને મળો અને તેમને ઓળખો. હું હંમેશાં કહું છું કે જો તમને લગ્નની સંસ્થા પર વિશ્વાસ ન હોય તો સમજી લો કે એમાં બહુ મહેનત કરવી પડે છે એટલે જ્યાં સુધી વિશ્વાસ ન કેળવાય ત્યાં સુધી પ્લીઝ લગ્ન ન કરો. એક વખત લગ્ન કરીને પાછળ હટી જવું યોગ્ય નથી. એટલા સમજદાર બનો કે તમે આ બધું સમજી શકો. લગ્નને હળવાશથી ન લેવાં જોઈએ અને લોકોએ ત્યારે જ લગ્ન કરવાં જોઈએ જ્યારે તેઓ ભાવનાત્મક રીતે પરિપક્વ હોય અને જીવન તથા સંબંધોથી પોતાની અપેક્ષાઓ વિશે સંપૂર્ણ રીતે નિશ્ચિત હોય.’ લગ્ન વિશેની યોગ્ય વય વિશે વાત કરતા શેફાલીએ હળવાશથી કહ્યું, ‘હું એક વાત કહું? મને ખબર છે કે મને ખૂબ ટ્રોલ કરવામાં આવશે. બાળકો પેદા ન કરો, કૂતરા પાળો. બસ, કૂતરા જ પાળો. કૂતરા જ માણસના જીવનમાં નિસ્વાર્થ પ્રેમનું એકમાત્ર સ્વરૂપ છે.’ શેફાલીનાં પહેલા લગ્ન ઍક્ટર હર્ષ છાયા સાથે થયાં હતાં. જોકે લગભગ ૪ વર્ષ બાદ બન્ને અલગ થઈ ગયાં. ત્યાર બાદ ૨૦૦૦માં શેફાલીએ ફિલ્મમેકર વિપુલ અમૃતલાલ શાહ સાથે લગ્ન કર્યાં. આ દંપતીને આર્યમાન અને મૌર્ય નામના બે દીકરા છે.

shefali shah bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news