સાઉથની પહેલી સુપરસ્ટાર અભિનેત્રી બી સરોજા દેવીનું નિધન, બોલિવૂડની ગોલ્ડન એજ ફિલ્મોમાં મેળવી હતી પ્રસિદ્ધિ

15 July, 2025 06:58 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Online Correspondent

નાનપણથી જ સિનેમામાં રસ ધરાવતાં સરોજાએ પોતાની પ્રતિભાના બળે સ્વતંત્ર ભારતમાં લોકપ્રિય અભિનેત્રી બનવાની અદ્ભુત સફર ખેડી. એવું કહેવામાં આવી રહ્યું છે

બી સરોજા દેવી

સાઉથની સિનેમામાંથી આ સમયે એક એવા સમાચાર આવી રહ્યા છે જે સિનેમા પ્રેમીઓના દિલ તોડી શકે છે. અભિનેત્રી તરીકે ચાહકોના દિલ પર રાજ કરનારી સિનેમા આઇકોન અભિનેત્રી બી સરોજા દેવીનું નિધન થયું છે, જેના કારણે મનોરંજન જગતમાં શોકનો માહોલ છે.

લગભગ 7 દાયકા સુધી સિનેમા જગત પર રાજ કરનારી અભિનેત્રી બી સરોજા દેવીને હંમેશા તેમની સુવર્ણ અભિનય કારકિર્દી માટે યાદ કરવામાં આવશે. જાણે કયા કારણસર થયું તેમનું નિધન.

બી સરોજા દેવીનું આખું નામ ભૈરપ્પા સરોજા દેવી હતું. નાનપણથી જ સિનેમામાં રસ ધરાવતાં સરોજાએ પોતાની પ્રતિભાના બળે સ્વતંત્ર ભારતમાં લોકપ્રિય અભિનેત્રી બનવાની અદ્ભુત સફર ખેડી. એવું કહેવામાં આવી રહ્યું છે કે વૃદ્ધાવસ્થાને કારણે થતી શારીરિક સમસ્યાઓને કારણે તેમનું મૃત્યુ થયું.

સરોજા દેવીએ તેમના ૭૦ વર્ષના ફિલ્મી કરિયરમાં ૨૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કરીને એક મહાન વારસો આપ્યો. આ સમય દરમિયાન, તેમણે સાઉથ સિનેમાના તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મ ઉદ્યોગની ઘણી મહાન ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયની છાપ છોડી. બી. સરોજા દેવીએ ૧૭ વર્ષની ઉંમરે કલ્ટ કન્નડ ભાષાની ફિલ્મ `મહાકવિ કાલિદાસ` દ્વારા પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી, જે ૧૯૫૫ માં રિલીઝ થઈ હતી.

આ પછી, તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નહીં. સમય જતાં, તેમણે સિનેમા જગતમાં પોતાનું ખાસ સ્થાન પ્રાપ્ત કર્યું, જેના કારણે તેમને ભારતીય સિનેમાના આઇકોન પણ કહેવામાં આવતા. ફિલ્મ ઉદ્યોગમાં તેમના ઉત્તમ યોગદાન માટે, તેમને પદ્મશ્રી અને પદ્મ ભૂષણ જેવા શ્રેષ્ઠ રાષ્ટ્રીય સન્માનોથી પણ નવાજવામાં આવ્યા.

દિલીપ કુમાર સાથે કામ કર્યું

બી સરોજા દેવીએ માત્ર સાઉથ સિનેમામાં જ નહીં પરંતુ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પણ પોતાની છાપ છોડી. તેમણે દિગ્ગજ અભિનેતા દિલીપ કુમાર સાથે ફિલ્મ `પૈગામ`માં મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. આ ઉપરાંત, તેઓ `પ્યાર કિયા તો ડરના ક્યા`, `બેટી બેટે` અને `સસુરાલ` જેવી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળ્યાં હતાં. તમને જણાવી દઈએ કે ૧૯૫૫ થી ૧૯૮૪ સુધી, સરોજા દેવીએ મુખ્ય અભિનેત્રી તરીકે સતત ૨૯ વર્ષોમાં ૧૬૧ ફિલ્મો કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

સરોજા દેવીને તેમની કારકિર્દી દરમિયાન સિનેમામાં યોગદાન બદલ ૧૯૬૯ માં પદ્મશ્રી અને ૧૯૯૨માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં. તમિલનાડુનો કલાઈમામણિ એવોર્ડ અને બૅંગ્લોર યુનિવર્સિટી તરફથી માનદ ડોક્ટરેટ પણ મળ્યો હતો. સરોજા દેવીએ શિવાજી ગણેશન, જેમિની ગણેશન, એન.ટી. જેવા દિગ્ગજો સાથે અભિનય કર્યો હતો. બી. સરોજા દેવીની સૌથી યાદગાર ઑનસ્ક્રીન જોડી એમજી સાથે હતી. દક્ષિણ ભારતીય સિનેમાના ઈતિહાસમાં એમજીઆર અને સરોજા દેવી વચ્ચેની કેમિસ્ટ્રી નોંધાપાત્ર છે. તેલુગુ ફિલ્મોમાં તેમણે એન.ટી. રામારાવ `સીથારામ કલ્યાણમ`, `જગડેકા વીરુની કથા` અને `દગુડુ મૂથાલુ` જેવી ફિલ્મોમાં, જે હિટ સાબિત થઈ હતી. સરોજા દેવીએ હિન્દી સિનેમામાં પણ પોતાની ઓળખ બનાવી અને "પૈગામ", "ઓપેરા હાઉસ", "સસુરાલ" અને "પ્યાર કિયા તો ડરના ક્યા" જેવી ફિલ્મોમાં જોવા મળી.

south india bengaluru celebrity death bollywood bollywood news entertainment news