28 March, 2026 08:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વારાણસી રિલીઝ થશે બે ભાગમાં?
‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ની બૉક્સ-ઑફિસ સફળતા બાદ હવે ફિલ્મમેકર એસ. એસ. રાજામૌલીની આગામી ફિલ્મ ‘વારાણસી’ને લઈને ચર્ચા તેજ થઈ છે. રિપોર્ટ મુજબ હવે એસ. એસ. રાજામૌલી પોતાની ઍક્શન-ઍડ્વેન્ચર ફિલ્મને બે ભાગમાં રિલીઝ કરવાની તૈયારીમાં છે.
મળતી માહિતી પ્રમાણે ફિલ્મમેકર્સ હવે મોટા સ્કેલની ફિલ્મો માટે બે ભાગમાં રિલીઝ કરવાની સ્ટ્રૅટેજી અપનાવવા તૈયાર થઈ રહ્યા છે. ‘વારાણસી’માં મહેશ બાબુ, પ્રિયંકા ચોપડા અને પૃથ્વીરાજ સુકુમારન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ હવે મોટી ભારતીય ફિલ્મોની યાદીમાં સામેલ થઈ શકે છે જે આ પ્રકારના ફૉર્મેટને પસંદ કરી રહી છે.
‘વારાણસી’નું બજેટ ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ હોઈ શકે છે જેને કારણે એ અત્યાર સુધીની સૌથી મોંઘી ભારતીય ફિલ્મોમાંની એક બની શકે છે. ચર્ચા પ્રમાણે ફિલ્મની કહાની એટલી વિશાળ છે કે એને ૩ કલાકથી વધુ સમય પણ પૂરતો નહીં પડે એથી એને બે ભાગમાં રજૂ કરવાની યોજના પર વિચાર ચાલી રહ્યો છે જેથી વાર્તા વધુ વિગતવાર રીતે કહી શકાય. ખાસ વાત એ છે કે ‘વારાણસી’ એ ‘ધુરંધર ઃ ધ રિવેન્જ’ની જેમ સીક્વલ નહીં હોય, પરંતુ એક જ ફિલ્મને બે ભાગમાં વહેંચીને રજૂ કરવામાં આવશે. આ ફૉર્મેટથી ફિલ્મમેકર્સને સમયની મર્યાદા વગર વિગતવાર અને ઊંડાણપૂર્વક સ્ટોરી કહેવાની તક મળશે.