08 June, 2026 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજકુમાર સંતોષીના ડિરેક્શનમાં આ ફિલ્મ આમિર ખાનના પ્રોડક્શન-હાઉસ હેઠળ બની રહી છે
સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની પિરિયડ ડ્રામા ફિલ્મ ‘લાહોર 1947’ના નામમાં ક્રમશઃ ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મનું નામ પહેલાં ‘બટવારા 1947’ કરવામાં આવ્યું હોવાની ચર્ચા હતી અને લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે એનું નામ ‘બટવારા’ કરી નાખવામાં આવ્યું છે. રાજકુમાર સંતોષીના ડિરેક્શનમાં આ ફિલ્મ આમિર ખાનના પ્રોડક્શન-હાઉસ હેઠળ બની રહી છે.
આ ફિલ્મના બદલાયેલા નામની ચર્ચા કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ માહિતી આપી હતી કે ‘ફિલ્મની ટીમ શરૂઆતથી જ ફિલ્મનું નામ ‘લાહોર 1947’ રાખવા માગતી નહોતી. એટલે ‘બટવારા 1947’ નામ પર વિચાર કરવામાં આવ્યો હતો પણ પછી સર્વસંમતિથી નક્કી થયું કે ફિલ્મનું નામ માત્ર ‘બટવારા’ જ રાખવું જોઈએ. જોકે ‘1947’ શબ્દ દૂર કરીને માત્ર ‘બટવારા’ નામ અપનાવવા માટે એના ટાઇટલ-રાઇટ્સ મેળવવા જરૂરી હતા. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે ‘બટવારા’ નામના અધિકાર સલીમ અખ્તરના પરિવાર પાસે છે, કારણ કે તેમણે ૧૯૮૯માં આ નામની ફિલ્મનું નિર્માણ કર્યું હતું. આમિર એ પછી સલીમ અખ્તરના દીકરા સમદ અખ્તરના ઘરે ગયો હતો અને ટાઇટલ માગ્યું હતું. સલીમ અખ્તરના પરિવારે આમિરની વાત સમજ્યા બાદ આ ટાઇટલના રાઇટ્સ વેચવાનો નિર્ણય કર્યો હતો.’
આમિર ખાનના પ્રોડક્શન-હાઉસ હેઠળ બની રહેલી સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટાની ‘બટવારા’નો એક સ્પેશ્યલ પ્રોમો ૨૧ જૂને ફાધર્સ ડેના અવસરે રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. આ પ્રોમોમાં સની દેઓલ અને તેના દીકરા કરણ દેઓલની ઝલક જોવા મળશે. ખાસ વાત એ છે કે આ પ્રોમોમાં સની અને કરણ પહેલી વખત એકસાથે સ્ક્રીન શૅર કરતા જોવા મળશે. આ કારણે જ નિર્માતાઓ આ ખાસ પ્રોમોને ફાધર્સ ડેના અવસરે રજૂ કરવાની યોજના બનાવી છે અને નજીકના ભવિષ્યમાં જ એની જાહેરાત કરવામાં આવશે. અગાઉ આ ફિલ્મ ૨૦૨૫માં રિલીઝ થવાની હતી, પરંતુ હવે એ સ્વતંત્રતાદિનના વીક-એન્ડ દરમ્યાન ૧૩ ઑગસ્ટે મોટા પડદા પર રિલીઝ થશે.