07 June, 2026 10:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તમન્ના ભાટિયા
તમન્ના ભાટિયાએ પોતાના ઘરે લિંગ ભૈરવી દેવી પુણ્ય પૂજાનું આયોજન કર્યું હતું અને આ પૂજા પછી સોશ્યલ મીડિયા પર પોતાની આધ્યાત્મિક યાત્રાની ખાસ ઝલક ફૅન્સ સાથે શૅર કરી છે. તેણે આ આધ્યાત્મિક અનુભવ વિશે લખતાં કહ્યું, ‘બધા લોકો જઈ ચૂક્યા હતા. મંત્રોચ્ચાર શાંત થઈ ગયો હતો. પૂજા પૂર્ણ થઈ ગઈ હતી પણ હું દેવી પાસે બેઠી હતી અને ઇચ્છતી હતી કે આ દિવસ ક્યારેય પૂરો ન થાય. એ જગ્યામાં હજુ પણ અદ્ભુત જીવંતતા હતી. એવું ઘર જ્યાં આખો દિવસ પ્રાર્થના, ઉજવણી, હાસ્ય, ભક્તિ અને સૌનો સાથ રહ્યો હોય. એવું લાગતું હતું કે હવામાં હજુ પણ કંઈક સુંદરતા તરતી હતી જે અહીંથી જવા તૈયાર નહોતી. આ દિવસને વધુ ખાસ બનાવનાર મારા પરિવારજનો, પોતાના લોકો અને એ તમામ લોકો હતા જે એક જ છત નીચે ભેગા થયા હતા. મેં હંમેશાં અનુભવ્યું છે કે જ્યારે ઘરમાં આવું કોઈ આધ્યાત્મિક કાર્ય થાય છે ત્યારે તેની અસર માત્ર આયોજકો પર જ નહીં પણ ઘરમાં પ્રવેશનાર દરેક વ્યક્તિ પર થાય છે. આવો પ્રસંગ પોતાની સાથે જોડાવાનો અને જીવનને વધુ ઊંડાણથી અનુભવવાનો અવસર આપે છે.’
દેવીના ગૃહપ્રવેશનો કેવો અનુભવ થયો?
તમન્નાએ પોસ્ટમાં ઈશા યોગ કેન્દ્રની સાધ્વીઓનો આભાર માનતા કહ્યું હતું કે ‘હું ઈશા યોગ કેન્દ્રની સાધ્વીઓની ખૂબ આભારી છું, જેમણે ખૂબ જ કૃપા અને સમર્પણ સાથે લિંગ ભૈરવી દેવી પુણ્ય પૂજાનું સંચાલન કર્યું. જે લોકો આટલી ખુશી અને ભક્તિભાવ સાથે સેવા આપે છે એમાં કંઈક અદ્ભુત અને હૃદયસ્પર્શી હોય છે. તેમની હાજરીમાં એવી ઉષ્મા હોય છે જે આખા વાતાવરણને બદલી શકે છે. કદાચ એ જ બાબતે મને સૌથી વધુ સ્પર્શી હતી. એવું લાગતું હતું કે જ્યારે દેવી ઘરમાં આવે છે ત્યારે માત્ર એક રૂમમાં નથી પ્રવેશતી, સમગ્ર વાતાવરણને પરિવર્તિત કરી દે છે. ઘણા દિવસોથી મુંબઈમાં અસહ્ય ગરમી પડી રહી હતી. અમે સૌ શાંતિથી એ ચિંતા કરી રહ્યા હતા કે પૂજામાં આવેલા લોકો કેવી રીતે આરામથી બેસી શકશે. આ પછી વહેલી સવારે હું ઊઠી અને બારીની બહાર જોયું. વૃક્ષો લહેરાઈ રહ્યાં હતાં. ફૂલો વરસાદમાં ભીંજાઈ ગયાં હતાં. ઠંડો પવન વહેવા લાગ્યો હતો. ઘણા દિવસોથી શહેર પર છવાયેલી ગરમી અચાનક ગાયબ થઈ ગઈ હતી. એ સવારને જોઈને મને લાગ્યું કે પ્રથમ દીવો પ્રગટે એ પહેલાં જ કંઈક શરૂ થઈ ચૂક્યું હતું. પૂજા તો કલાકો પછી થઈ, પણ એક રીતે એવું લાગ્યું કે દેવી વરસાદ સાથે જ ઘરમાં આવી ગઈ હોય.’