17 October, 2020 01:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
બૉલીવુડના ક્યૂટ કપલ ગણતા રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ના ચાહકો આ વર્ષે તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જોકે, તેમના ફૅન્સે તેમના લગ્ન માટે હજી વર્ષ 2021 સુધી રાહ જોવી પડશે. જ્યારે સૂત્રોએ આપેલી માહિતી મુજબ, રણબીર કપૂરનો કઝીન આદર જૈન (Adar Jain) તેની ગર્લફ્રેન્ડ તારા સુતારિયા (Tara Sutaria) સાથે આ વર્ષે લગ્ન કરી શકે છે. એટલે કપૂર પરિવારમાં ભલે રણબીરણના લગ્નની શહેનાઈ ન વાગે પણ આદરના લગ્નની શહેનાઈ તો વાગશે જ.
બૉલીવુડના લવ બર્ડસ તારા સુતારિયા અને આદર જૈને હજી રિલેશનશિપની સત્તાવાર જાહેરાત નથી કરી પણ ઈન્સ્ટાગ્રામ પર અગાઉથી જ સત્તાવાર દરજ્જો આપી દીધેલો છે એટલે હવે તેમાં કોઈ શંકા રહી નથી. સ્પૉટબૉયે સૂત્રોના હવાલેથી લખ્યું છે કે, આદર જૈન ટૂંક સમયમાં જ તેની ગર્લફ્રેન્ડ તારા સુતરિયા સાથે સાત ફેરા ફરવાનો છે. બન્ને પોતાના વચન અંગે ગંભીર છે અને વહેલાસર લગ્ન કરી લેશે. જોકે આ સમાચારને હજી સુધી સત્તાવાર કન્ફર્મ કરવામાં આવ્યા નથી. કપૂર પરિવારમાં જ્યાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા ચાલી રહી છે ત્યારે જ આ સમાચારથી ખ્યાલ આવે છે કે રણબીરના કઝિન આદર જૈન પણ લગ્નના શુભ સમાચાર આપનારો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીર અને આલિયા લગ્ન કરી લે તેવા સંકેતો મળતા નથી. પરંતુ તેનો કઝિન આદર જૈન એક ફેમિલી પર્સન છે અને તે ટૂંક સમયમાં તારા સુતરિયા સાથે લગ્ન કરી લેશે. આદરના મોટા ભાઈ અરમાન જૈને ગયા વર્ષે જ તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા હતા. આદરની કરિયર હજી શરૂ થઈ નથી તો તારાની કરિયર હમણાં જ શરૂ થઈ છે. જોકે તેમના લગ્ન વચ્ચે કોઈ અડચણ નથી.
તમને જણાવી દઈએ કે, તારા સુતરિયાએ તાજેતરમાં જ આદર જૈનના જન્મદિવસે બન્નેની રિલેશનને ઈન્સ્ટાગ્રામ પર મહોર મારી દીધી હતી. તેની પોસ્ટમાં બન્ને વચ્ચે પ્યાર હોવાના સંકેત મળી ગયા હતા. આદરના ભાઈ અરમાનના લગ્ન વખતે પણ આદર અને તારા સાથે સાથે જ જોવા મળતા હતા. આ ઉપરાંત પણ બંનેને ઘણી વાર સાથે સ્પોટ કરાયા છે.