26 February, 2026 12:10 PM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
રણબીર કપૂર
ડિરેક્ટર નિતેશ તિવારીની આવનારી માઇથોલૉજિકલ ડ્રામા ફિલ્મ ‘રામાયણ’ની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં અને સીતા માતાના રોલમાં સાઈ પલ્લવી જોવા મળશે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મની ટીમે હાલમાં લૉસ ઍૅન્જલસના સિનેમાર્ક પ્લાયા વિસ્ટા થિયેટરમાં ફિલ્મનું ટેસ્ટ-સ્ક્રીનિંગ યોજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ પ્રથમ ટેસ્ટ-સ્ક્રીનિંગ બાદ નિર્માતાઓને દર્શકો તરફથી ઉત્સાહજનક અને સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. સોશ્યલ મીડિયા પર પણ કેટલાક દર્શકોએ સ્ક્રીનિંગ વિશે સકારાત્મક પ્રતિક્રિયા શૅર કરી છે. દર્શકોએ ફિલ્મના ભવ્ય સ્તર, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ભાવનાત્મક વાર્તાકથનની પ્રશંસા કરી છે.
અંદાજે ૪૦૦૦ કરોડના મોટા બજેટમાં તૈયાર થયેલી ‘રામાયણ’ બે ભાગોમાં રિલીઝ થશે. એનો પહેલો ભાગ આ વર્ષે દિવાળીમાં રિલીઝ થવાનો છે, જ્યારે બીજો ભાગ આવતા વર્ષે દિવાળીની આસપાસ રિલીઝ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.