07 January, 2026 11:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અગસ્ત્ય નંદા
અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાએ ૨૦૨૩માં આવેલી ફિલ્મ ‘ધી આર્ચીઝ’થી ઍક્ટિંગના જગતમાં પગ મૂક્યો હતો. ‘ધી આર્ચીઝ’ નાના પડદે આવી હતી અને હવે અગસ્ત્યની મોટા પડદાની પ્રથમ ફિલ્મ ‘ઇક્કીસ’ આવી છે. બન્ને ફિલ્મની રિલીઝ વખતે અગસ્ત્યને અમિતાભ બચ્ચનના દોહિત્ર તરીકે વધુ સંબોધવામાં આવ્યો છે. હાલમાં ‘ઇક્કીસ’ના પ્રમોશનના ભાગરૂપે થયેલા એક ઇન્ટરવ્યુમાં અગસ્ત્યને પૂછવામાં આવ્યું કે તને ક્યારેય અમિતાભ બચ્ચનનો વારસો આગળ વધારવાનું પ્રેશર અનુભવાય છે? આ સવાલનો સરસ જવાબ આપતાં અગસ્ત્યએ કહ્યું, ‘હું એ વારસાનો માલિક નથી. મારી સરનેમ નંદા છે અને સૌપ્રથમ તો હું મારા પિતાનો દીકરો છું. મારું ફોકસ તેમને ગર્વ થાય એવું કામ કરવાનું છે અને એ વારસો હું ખૂબ જ ભારપૂર્વક મારા ખભે લઈને ચાલુ છું.’
અગસ્ત્યના દિલ્હીસ્થિત પપ્પા નિખિલ નંદા એસ્કૉર્ટ્સ કુબોટા લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર છે. આ ભારતીય મલ્ટિનૅશનલ કંપની ઍગ્રિકલ્ચરલ અને કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ અને મશીનરી બનાવે છે.