07 February, 2026 04:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નિતેશ તિવારીની રામાયણમાં વિજય સેતુપતિ બનશે વિભીષણ?
રણબીર કપૂરને ભગવાન રામ અને સાઈ પલ્લવીને માતા સીતાની ભૂમિકામાં ચમકાવતી નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં રાવણના ભાઈ વિભીષણના રોલ માટે તામિલ સુપરસ્ટાર વિજય સેતુપતિની પસંદગી કરવામાં આવી હોવાનો રિપોર્ટ છે. આ પાત્ર ફિલ્મની વાર્તામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે વિભીષણ સત્ય અને ધર્મનો સાથ આપીને ભાઈ રાવણ વિરુદ્ધ ભગવાન રામને ટેકો આપે છે.
‘રામાયણ’માં વિભીષણના પાત્ર માટે વિજય સેતુપતિ લગભગ કન્ફર્મ છે, પણ હાલ આ બાબતે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જો વિજય સેતુપતિ ફિલ્મમાં જોડાશે તો ફિલ્મની લોકપ્રિયતા દક્ષિણ ભારતના દર્શકોમાં વધવાની શક્યતા છે.
ફિલ્મમેકર્સ રામનવમીના અવસર પર એટલે કે ૨૭ માર્ચે મુંબઈના ગેટવે ઑફ ઇન્ડિયા પર એક ભવ્ય સમારંભમાં ફિલ્મની પહેલી ઝલક રજૂ કરશે. નિતેશ તિવારીની આ ફિલ્મ થિયેટરમાં બે ભાગમાં રિલીઝ થશે. ફિલ્મનો પહેલો ભાગ આ વર્ષની દિવાળીએ રજૂ થશે, જ્યારે બીજો ભાગ ૨૦૨૭ની દિવાળી પર દર્શકો સામે આવશે.