14 July, 2026 03:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય સિનેમાના લોકપ્રિય સંગીતકાર પ્યારેલાલ અને તેમનાં પત્ની સુનીલા પ્યારેલાલ શર્મા
ભારતીય સિનેમાના લોકપ્રિય સંગીતકાર પ્યારેલાલનાં પત્ની સુનીલા પ્યારેલાલ શર્માનું રવિવારે નિધન થયું છે. તેમણે ૭૮ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. પરિવાર દ્વારા જાહેર કરવામાં આવેલી સોશ્યલ મીડિયા પોસ્ટ મારફત આ દુઃખદ સમાચાર આપવામાં આવ્યા હતા. પોસ્ટમાં જણાવાયું હતું કે તેમણે પોતાના પરિવારજનોની હાજરીમાં શાંતિપૂર્વક અંતિમ શ્વાસ લીધા હતા.
સંગીતકાર પ્યારેલાલના પરિવારે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે ‘અત્યંત દુઃખ અને અપાર પ્રેમ સાથે અમે અમારાં પ્રિય ‘અમ્મા’ સુનીલા પ્યારેલાલ શર્માના નિધનની જાણ કરી રહ્યા છીએ. તેમણે ૧૨ જુલાઈએ પોતાના પરિવારની વચ્ચે રહીને આ દુનિયાને અલવિદા કહ્યું. અમ્માનું સમગ્ર જીવન ગૌરવ, ભક્તિ અને અડગ મનોબળનું પ્રતીક હતું. તેઓ તેમને ઓળખનારા દરેક માટે નિઃશરત પ્રેમનો આધારસ્તંભ હતાં. આજે અમારા હૃદય ભારે છે, પણ એ વાતનો સંતોષ છે કે તેઓ હવે પરમ શાંતિમાં છે.’
પ્યારેલાલ શર્મા ભારતીય સિનેમાના લોકપ્રિય સંગીતકારોમાંના એક છે. તેમણે દિવંગત લક્ષ્મીકાંત શાંતારામ કુડાલકર સાથે મળીને
‘લક્ષ્મીકાંત-પ્યારેલાલ’ની ઐતિહાસિક જોડી બનાવી હતી, જેણે દાયકાઓ સુધી હિન્દી ફિલ્મસંગીત પર રાજ કર્યું હતું.
વ્હીલચૅરમાં આવેલા પ્યારેલાલ શર્માએ ચાહકનો માન્યો આભાર
ગઈ કાલે સાંતાક્રુઝ સ્થિત દત્તાત્રય રોડ સ્મશાનભૂમિમાં સુનીલા પ્યારેલાલ શર્માના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંતિમ સંસ્કાર દરમ્યાન પ્યારેલાલ વ્હીલચૅરમાં બેસીને જીવનસાથીને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા નજરે પડ્યા હતા. આ સમયે તેમણે હાથ જોડીને તેમના દુખમાં સહભાગી થનાર મિત્રો, પરિવારજનો અને ચાહકોનો આભાર માન્યો હતો.