20 March, 2026 01:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ધુરંધર : ધ રિવેન્જનો બડે સાહબ દાનિશ ઇકબાલ છે અનુભવી ઍક્ટર અને ઍક્ટિંગ કોચ
ડિરેક્ટર આદિત્ય ધરની સ્પાય-ઍક્શન સીક્વલ ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ હવે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ રિલીઝ થતાં જ એમાં ‘બડે સાહેબ’ કોણ છે એવા ચર્ચાઈ રહેલા સવાલનો જવાબ મળી ગયો છે. રણવીર સિંહ અભિનીત ‘ધુરંધર’માં હમઝા અલી મઝારીની ડાયરીમાં ‘બડે સાહબ’નો ઉલ્લેખ જોવા મળ્યો હતો અને હવે સીક્વલમાં આ પાત્ર પડદા પર આવ્યું છે અને એ હકીકતમાં ગૅન્ગસ્ટર દાઉદ ઇબ્રાહિમ છે. ફિલ્મમાં આ પાત્રને દાનિશ ઇકબાલે ભજવ્યું છે અને તેના અભિનયને ભારે પ્રશંસા મળી રહી છે.
ફિલ્મમાં ‘બડે સાહબ’ને સૌથી શક્તિશાળી પાત્ર તરીકે રજૂ કરવામાં આવ્યું છે અને આ પાત્રમાં દાનિશ ઇકબાલે પોતાના અભિનયની ખાસ છાપ છોડી છે. દાનિશ ઇકબાલ એક અનુભવી અભિનેતા અને ઍક્ટિંગ કોચ છે. તે નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD)માંથી અભ્યાસ કર્યા બાદ થિયેટર, ફિલ્મ અને વેબ-સિરીઝમાં સક્રિય રહ્યો છે. તેને ખાસ ઓળખ વેબ-સિરીઝ ‘મહારાની 2’માં દિલશાદ મિર્ઝાના પાત્રથી મળી હતી. એ ઉપરાંત તે નાના પાટેકર સાથે ‘સંકલ્પ’માં જોવા મળ્યો હતો અને રાજીવ ગાંધી હત્યાકેસ પર આધારિત સિરીઝમાં પણ તેણે કામ કર્યું છે.
દાનિશ ઇકબાલે બહુ નાની ઉંમરથી જ થિયેટર શરૂ કર્યું હતું અને વર્ષો સુધી રંગમંચ પર કામ કર્યું છે. એ પછી NSDમાં ૩ વર્ષનો ડિપ્લોમા પૂર્ણ કર્યા બાદ તેને ચાર્લ્સ વૉલેસ સ્કૉલરશિપ મળતાં તે ઇંગ્લૅન્ડ ગયો જ્યાંથી માસ્ટર્સ પૂર્ણ કર્યું. થિયેટર સિવાય તેણે રેડિયોપ્લે અને વૉઇસ-આર્ટિસ્ટ તરીકે પણ કામ કર્યું છે. આજે તેને અંદાજે ૩૦ વર્ષથી વધુનો અનુભવ છે અને તે વિદ્યાર્થીઓને તાલીમ પણ આપે છે.