24 August, 2026 10:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશ નવીન કુમાર ગૌડા
યશ હાલમાં નિતેશ તિવારીની ફિલ્મ ‘રામાયણ’માં રાવણની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના પાત્રમાં જોવા મળશે. યશ ફિલ્મનો કો-પ્રોડ્યુસર પણ છે, તેથી તે ઇચ્છે તો રામનું પાત્ર પસંદ કરી શકતો હતો પણ આમ છતાં તેણે રાવણની ભૂમિકા પસંદ કરી. હવે યશે રામને બદલે રાવણનું પાત્ર પસંદ કરવાના કારણનો ખુલાસો કર્યો છે.
આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં યશે કહ્યું હતું કે ‘રામની ભલાઈ બતાવવા માટે રાવણની બૂરાઈ પણ તો જોઈએ. મારાથી સારી રીતે બૂરાઈ કોઈ બતાવી ન શકે. રાવણને માત્ર એક પરંપરાગત વિલન તરીકે નહીં પરંતુ અનેક સ્તરો ધરાવતા જટિલ પાત્ર તરીકે રજૂ કરવું જરૂરી છે. આ પ્રોજેક્ટમાં સ્ટારડમ કરતાં ફિલ્મની વાર્તા અને પાત્રોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ટીમે પોતાના ઈગોને બાજુ પર રાખીને ફિલ્મ માટે કામ કર્યું છે.’