19 August, 2026 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝિંદગી ના મિલેગી દોબારાની સીક્વલ થઈ કન્ફર્મ
૨૦૧૧માં ઝોયા અખ્તરની ‘ઝિંદગી ના મિલેગી દોબારા’ રિલીઝ થઈ હતી. ફિલ્મમાં હૃતિક રોશન, ફરહાન અખ્તર અને અભય દેઓલ લીડ રોલમાં હતાં. લાંબા સમયથી ચર્ચા હતી કે આ ફિલ્મની સીક્વલ બનવાની છે. હવે આખરે ઝોયા અખ્તરે પોતે જ કન્ફર્મ કર્યું છે કે આ ફિલ્મની સીક્વલ પર કામ ચાલી રહ્યું છે. આ સીક્વલ વિશે વાત કરતાં ઝોયા અખ્તરે કહ્યું હતું કે ‘અમે આના પર કામ કરી રહ્યાં છીએ. અમને ખબર નથી કે આગળ શું થશે અને શું નહીં. જો અમે એવી જગ્યાએ પહોંચી શકીએ જ્યાં આજના સમયમાં આ પાત્રોને ફરીથી દર્શાવવું યોગ્ય લાગે તો એ ખૂબ સારું રહેશે.’
જોકે અત્યાર સુધી ફિલ્મની સ્ટોરીને લઈને જ ચર્ચા ચાલી રહી છે. જો કંઈ ફાઇનલ નહીં થાય તો ફિલ્મમાં હજુ વધુ વિલંબ થઈ શકે છે, કારણ કે અત્યાર સુધી ફિલ્મ વિશે કંઈ પણ નક્કી નથી.
૨૦૧૧માં રિલીઝ થયેલી ‘ઝિંદગી ના મિલેગી દોબારા’નું શૂટિંગ સ્પેન, ભારત અને યુકેમાં થયું હતું. આશરે ૪૫ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે વિશ્વભરમાં લગભગ ૧૫૩ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.