09 March, 2026 12:17 PM IST | Ahmedabad | Dharmik Parmar
અભિલાષ ઘોડા અને તેમનાં ધર્મપત્ની સ્વ. કેતકીબહેન
Ketaki Ghoda Death: ગુજરાતી મનોરંજન જગતને મોટો આંચકો લાગ્યો છે. ગુજરાતી ફિલ્મ જગત અને ઇવેન્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તેમજ તિહાઈ ગ્રુપ ઑફ કંપનીઝ (Tihai Group Of Companies)ના ડિરેક્ટર અભિલાષ ઘોડાના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. અભિલાષ ઘોડાનાં ધર્મપત્ની કેતકીબહેન ઘોડા (Ketaki Ghoda)નું અવસાન થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેતકીબહેન છેલ્લા લાંબા વખતથી કૅન્સરથી પીડાતાં હતાં. લાંબા વખતથી તેઓની કૅન્સર માટેની ટ્રીટમેન્ટ ચાલી રહી હતી. કેતકીબહેન કૅન્સર સામેનો જંગ હારી જતાં અભિલાષભાઈના પરિવાર પર દુઃખના ડુંગર તૂટી પડ્યા છે.
સ્વ. દીનેશરામ અને દર્શનાબહેન ઓઝાનાં પુત્રી અને નરેશચંદ્ર વિનાયકરાય ઘોડાનાં પુત્રવધૂ કેતકીબહેનનું અવસાન (Ketaki Ghoda Death) થતાં જ ઘોડા પરિવારને આંચકો લાગ્યો છે. અભિલાષ ભાઈ અને કેતકીબહેનને બે પુત્રો છે. કરન અને વિવેક આ બંને દીકરાઓએ માતાની છત્રછાયા ગુમાવી છે.
અભિલાષભાઈએ સોશિયલ મીડિયા પર તેમનાં ધર્મપત્નીના નિધનના સમાચાર આપ્યા હતા. આ સમાચાર જાણી સહુને આંચકો લાગ્યો છે. સહુ સ્વ. કેતકીબહેનને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. અભિલાષભાઈએ `ૐ શાંતિ` લખીને પત્નીના અવસાનની માહિતી આપતી પોસ્ટ મૂકી છે. કોઈએ લખ્યું છે કે કેતકીબહેનને જ્યારે જ્યારે મળવાનું થતું ત્યારે તેઓમાં સંબંધની ગરિમા અને ઉષ્માભર્યો સ્વભાવ જોવા મળતો હતો. અભિનેતા હેમાંગ દવે, ડિરેક્ટર ધ્વનિ ગૌતમ, ગાયિકા ઈશાની દવે, અભિનેત્રી કોમલ ઠાકર સહિતના અનેક સેલેબ્સે કેતકીબહેનને શ્રદ્ધાંજલિ આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેતકીબહેન બહુ જ ઉત્તમ શિક્ષિકા (Ketaki Ghoda Death) હતાં. તેઓ અમદાવાદમાં વર્ષોથી બાળકોને ભણાવતાં હતાં. તેઓએ અભિલાષભાઈ સાથે પણ કામ કર્યું હતું. શિક્ષણ જગતમાં આગવું નામ ધરાવનાર કેતકીબહેન સંસ્કૃત વિષયમાં ગોલ્ડ મેડલિસ્ટ હતાં. તેઓએ અનેક વિદ્યાર્થિઓને સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં ઉત્તમ જ્ઞાન પીરસ્યું હતું.
દીક્ષિતભાઈ અને અર્પિતાબહેને પ્રેમાળ ભાભીની છાયા (Ketaki Ghoda Death) ગુમાવી છે. એક્ટર, ડિરેક્ટર અને સ્ક્રીન રાઇટર દીપક અંતાણી (Deepak Antani)એ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું હતું કે, "વર્ષોથી અભિલાષભાઈ અને તેમના નાના ભાઈ દીક્ષિતભાઈ સંયુક્ત પરિવારમાં રહે છે. મહેશ-નરેશની જોડીની જેમ અભિલાષ-દીક્ષિતની જોડી છે. આજે આવાં સંયુક્ત કુટુંબો બહુ જ ઓછાં જોવા મળે છે. અભિલાષભાઈ મોટા હોવા છતાં ક્યારેય તેમણે એવી મોટપ દેખાડી નથી, એ જ રીતે કેતકીબહેને પણ ક્યારેય જેઠાણી જેવુ લાગવા દીધું નથી."
દીપકભાઈ કેતકીબહેન (Ketaki Ghoda Death) સાથેનાં સંસ્મરણો વાગોળતાં જણાવે છે કે, "એક મિત્રની પત્ની તરીકે તો ખરું જ પણ દૂરના રિલેશનમાં હોવાને નાતે અવારનવાર કેતકીબહેન સાથે મળવાનું થતું હતું. હંમેશા તેઓનો ચહેરો હસતો જ જોવા મળતો. તેઓ બાળકો સાથે રહેતા હોવાથી તેઓ ખૂબ જ પ્રેમાળ સ્વભાવનાં હતાં. ખૂબ આત્મીયતા ધરાવતા હતાં. તેઓ મૃદુભાષી હતાં. તેઓ કૅન્સર સામે જંગ લડી રહ્યાં હતાં. કીમોથરેપી પછી તેઓના માથેથી વાળ પણ ઓછા થઈ ગયા હતા. કૅન્સરથી પીડાતાં હોવા છતાં તેઓ પ્રસંગોમાં અચૂક હાજરી આપતા હતા. ઘણીવાર અભિલાષ વાત કરતો કે કેતકીબહેનને રાત્રે બહુ જ પીડા થતી. અભિલાષભાઈ કહેતા કે કેતકીની તે પીડા મારાથી જોવાથી નથી. રાત તો માંડ માંડ પસાર થાય છે.”
પ્રાપ્ત માહિતી અનુસાર સ્વ. કેતકી અભિલાષ ઘોડાની અંતિમ યાત્રા આજે સાંજે પાંચ વાગ્યે અમદાવાદસ્થિત તેમના નિવાસસ્થાનેથી નીકળીને થલતેજ મુક્તિધામ જશે. ૫૯ વર્ષની ઉંમરે આપણી વચ્ચેથી વિદાય લેનાર કેતકીબહેનની પ્રાર્થનાસભા તારીખ ૧૦મી માર્ચ, ૨૦૨૬ણઆ રોજ સાંજે પાંચથી સાત દરમ્યાન સિંધુભવન, સિંધુભવન રોડ, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે.