`લાલો` ફિલ્મના અભિનેતા કરણ જોષીએ બિભત્સ માગણીના આરોપો અંગે આખરે મૌન તોડ્યું...

19 May, 2026 04:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કરણ જોષીએ ઇન્સ્ટાગ્રામ શૅર કરેલા વીડિયો કહ્યું “તું સાચો છે એ વાત અમે જાણીએ છીએ અને અમે તારી સાથે છીએ, એવા મૅસેજ મને મારા ઘણા હિતેચ્છુ તરફથી મળ્યા. જેથી હવે સાચી અને આખી વાત શું છે એ હું તમને કહું છું. આ ઘટના લગભગ પાંચ મહિના પહેલા જૂની છે."

કરણ જોષી અને નેહલ વડોલિયા

ગુજરાતી ફિલ્મ જગતમાં 100 કરોડની કમાણી કરી ઇતિહાસ રચનારી ‘લાલો’ ફેમ અભિનેતા કરણ જોષીને લઈને એક વિવાદ સર્જાયો હતો. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ તેમ જ અનેક બોલ્ડ વેબ સિરીઝ અને પ્રોજેક્ટમાં કમ કરી ચૂકેલી અભિનેત્રી નેહલ વડોલિયાએ દાવો કર્યો હતો કે કરણ જોષીએ તેને ઇન્સ્ટાગ્રામ પર ભિભત્સ મૅસેજ મોકલી કેટલીક અભદ્ર માગણીઓ કરી હતી. આ વિવાદ ખૂબ જ વધ્યો હતો અને હવે તેના પર કરણે આખરે મૌન તોડ્યું છે અને પોતાનો પક્ષ મૂક્યો છે.

અભિનેતાએ વીડિયો શૅર કર્યો

કરણ જોષીએ ઇન્સ્ટાગ્રામ શૅર કરેલા વીડિયો કહ્યું “તું સાચો છે એ વાત અમે જાણીએ છીએ અને અમે તારી સાથે છીએ, એવા મૅસેજ મને મારા ઘણા હિતેચ્છુ તરફથી મળ્યા. જેથી હવે સાચી અને આખી વાત શું છે એ હું તમને કહું છું. આ ઘટના લગભગ પાંચ મહિના પહેલા જૂની છે. જાન્યુઆરી ૨૦૨૬ માં મારુ એકાઉન્ટ હૅક થઈ ગયું હતું. દરમિયાન મારા ઇન્સ્ટાગ્રામ પરથી અનેક લોકો જેમાં મારા મિત્રો અને અનેક જાણીતા નામો પણ સામેલ હતા, તેમને મૅસેજ મોકલવામાં આવ્યા હતા. તેમની પાસેથી પૈસાની માગણી, કામ અંગે વાતચીત તો કેટલાકને અયોગ્ય મૅસેજ ગયા હતા. તેમાં આ બહેન (નેહલ વડોલિયા)ને પણ અયોગ્ય મૅસેજ મોકલવામાં આવ્યા હતા.”

“આ સમય દરમિયાન હું મારી ફિલ્મ ‘લાલો’ના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત હતો, મારા એકાઉન્ટમાં શું થઈ રહ્યું છે તે બાબતની મને જાણ નહોતી. જે મિત્રોને મારા એકાઉન્ટથી આવા મૅસેજ મળ્યા હતા તેમણે આ અંગે જણાવતા મને માહિતી મળી. મેં તરત જ મારું સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ હૅક થયું હોવાની માહિતી જાહેર કરી હતી અને બધાને અપીલ કરી હતી કે તેમને કોઈપણ મૅસેજ કે પૈસાની માગણી કરવામાં આવે તો તેનો જવાબ આપવો નહીં. તે સમયે આ બહેને પણ કહ્યું હતું કે જે પણ કિસ્સો બન્યો તેમાં મારી કોઈ સંડોવણી હતી જ નહીં બધુ હૅકિંગને કારણે બન્યું હતું. આ અંગે બધી ચોખવટ કરી દેવામાં આવી હતી. જોકે પાંચ મહિના પહેલા બનેલી ઘટના જુદી-જુદી રીતે રજૂ કરવામાં આવી રહી છે તે સાચું નથી. સત્ય જે પહેલા હતું તે જ છે અને તે બદલાવવાનું નથી,” એમ કરણે કહ્યું.

અભિનેતાએ લોકોને એવી પણ અપીલ કરી કે કોઈપણ મંતવ્ય બનાવતા પહેલા હકીકત જાણવી જોઈએ. “ઇન્સ્ટાગ્રામને કાયદો સમજીને ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે અને તે ખોટું છે, એમ પણ તેણે કહ્યું. કરણે આગળ કહ્યું “દરેક સ્ત્રી સન્માનને પાત્ર છે અને તેમનો આદર કરવો આપણાં સંસ્કારનો ભાગ છે. સાચું શું છે તેના પર મને વિશ્વાસ છે. આ વીડિયો માત્ર બધા સુધી સાચું શું છે તે પહોંચે તે માટે બનાવ્યો છે અને જય દ્વારકાધીશ,” એમ કહી અભિનેતાએ વીડિયો શૅર કર્યો.

સોશિયલ મીડિયા પર યુઝર્સે આપી પ્રતિક્રિયા

લાલો ફેમ કરણ જોષીના વીડિયો પર તેના ચાહકો અને મિત્રોએ પ્રતિક્રિયા આપી રહ્યા છે. મોટાભાગના લોકો તેને ટેકો આપી રહ્યા છે અને તે સાચો છે એવું પણ કહીં રહ્યા છે. જોકે બીજી તરફ લોકોએ એવો પ્રશ્ન કર્યો છે કે એકાઉન્ટ હૅક થાય તો ટૅક્સ્ટ મૅસેજ હોય જોકે અભિનેત્રીને વૉઇસ મૅસજ પણ મોકલવામાં આવ્યા હતા? શું બન્યું? તે બાબતની સ્પષ્ટતા કરણ અને નેહલ બન્ને તરફથી કરવામાં આવી છે, જેથી હવે આ વિવાદ હજી કેટલો આગળ વધશે તેના પર લોકો ચર્ચા કરી રહ્યા છે.

dhollywood news gujarati film social media gujarati mid day viral videos sexual crime taarak mehta ka ooltah chashmah instagram