ઘરમાં કંકાસ વધી ગયો હોય તો આ રસ્તાઓ અપનાવો

22 June, 2026 02:15 PM IST  |  Mumbai | Acharya Devvrat Jani

સુમેળ સાથે સંબંધો અકબંધ રહે એની શરૂઆત ઘરથી જ થાય. ઘરમાં સુખ-શાંતિ રહે એ માટે અહીં દર્શાવ્યા છે એ સરળ રસ્તાઓ વાપરવા જેવા છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઘરમાં જો અવારનવાર ક્લેશ અને માનસિક તાણ ઊભાં થતાં હોય તો એની પાછળ ઘણી વાર નકારાત્મક ઊર્જા જવાબદાર હોય છે. વાસ્તુશાસ્ત્રમાં તોડફોડ કર્યા વગર ઘરગથ્થુ અને રોજિંદા જીવનમાં સરળતાથી કરી શકાય એવા કેટલાક અચૂક ઉપાયો બતાવવામાં આવ્યા છે જે ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર કરે અને પરસ્પર પ્રેમ અને લાગણી વધારવાનું કામ કરે. આ રસ્તાઓમાંથી કેટલાક રસ્તા અન્ય કારણોસર અગાઉ દર્શાવ્યા છે એનો પણ અમલ કરવો જરૂરી છે.

મીઠાના પાણીનું પોતું

આ સૌથી અસરકારક ઉપાય છે. ઘરની લાદી લૂછતી વખતે પાણીમાં થોડું આખું મીઠું ઉમેરી દો. મીઠું નકારાત્મક ઊર્જાને પોતાનામાં સમાવી લે છે અને એને ઘરમાંથી દૂર કરે છે. આ રસ્તો વીક દરમ્યાન ક્યારેય વાપરી શકાય છે, સિવાય કે ગુરુવાર. જો આ રસ્તાનો ઉપયોગ ઘરમાં એવા સમયે કરવામાં આવે જ્યારે તમામ સભ્યો હાજર હોય તો અતિ ઉત્તમ છે. આખું મીઠું નાખીને પોતાં કરી લીધા પછી અડધો કલાક બાદ સાદા પાણીથી પણ પોતાં કરવાં હોય તો કરી શકાય છે.

મીઠાના પાણીનું સ્નાન જો ઘરના તમામ પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવે તો એ પણ ઉપયોગી બને છે.

સૂર્યપ્રકાશ અને શુદ્ધ હવા

સવારે જાગતાંની સાથે જ ઘરનાં બારીબારણાં થોડા સમય માટે ખુલ્લાં કરો અને બહારની તાજી હવા તથા સૂર્યપ્રકાશ ઘરમાં આવે એ માટે પ્રયાસ કરો. સવારનાં સૂર્યકિરણો અને તાજી હવા કુદરતી રીતે જ ઘરની બંધિયાર અને ભારે ઊર્જાને બહાર ધકેલી દે છે. જે ઘરમાં અંધકાર વધુ રહેતો હોય ત્યાં નકારાત્મકતા ઝડપથી વધે છે. ધારો કે સૂર્યપ્રકાશ નથી આવતો કે જૂજ માત્રામાં આવે છે તો એવા ઘરમાં પ્રયાસ કરવો જોઈએ કે દીવાબત્તી વહેલી થઈ જાય અને આખા ઘરમાં ધૂપ કરવામાં આવે.

ધૂપ માટે કપૂર અને ગૂગળથી ઉત્તમ બીજું કશું નથી. ફ્રેશ હવા પણ જો ઘરમાં ઓછી આવતી હોય તો પ્રયાસ કરવો જોઈએ કે રોજેરોજ સવાર-સાંજ ઘરમાં કપૂરનો ધૂપ કરવામાં આવે. કપૂર સ્વાસ્થ્ય માટે જેટલું ઉપયોગી છે એટલું જ એ મનોદશા માટે પણ શ્રેષ્ઠ છે. કપૂરની સુગંધથી વાતાવરણ પવિત્ર બને છે અને હવામાં રહેલા હાનિકારક બૅક્ટેરિયા તેમ જ નકારાત્મક કણો નાશ પામે છે. આનાથી મન શાંત થાય છે અને ગુસ્સો ઓછો થાય છે.

મેઇન ડોરની સ્વચ્છતા

ઘરના મુખ્ય દરવાજાને હંમેશાં સાફ અને ચમકતો રાખો. દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે એના મિજાગરામાંથી કોઈ જાતનો અવાજ ન આવતો હોય એ જોવું. જો અવાજ આવતો હોય તો એનું ઑઇલિંગ કરી લેવું.

અવાજ કરતા દરવાજા ઘરમાં કચકચ લાવવાનું કામ કરે છે તો સાથોસાથ અવાજ કરતા ઘરના અન્ય રૂમના દરવાજા પણ એ ઘરમાં રહેતા લોકોના મનમાં વિચારવમળ શરૂ કરે છે. આ વિચારવમળને અટકાવવાનો બેસ્ટ રસ્તો એ છે કે ઘરના ખાલી રૂમના દરવાજા શક્ય હોય ત્યાં સુધી બંધ રાખો. જો એનું કામ હોય તો જ એ ખુલ્લા હોવા જોઈએ. રાતના સમયે ધારો કે ઘરમાં કોઈ ન હોય તો વધારાના રૂમ અચૂક બંધ કરવા, કારણ કે રાતના સમયે ખાલી રૂમમાં નેગેટ‌િવ એનર્જી બહુ સરળતાથી દાખલ થઈને ઘરમાં રહેવાનો પ્રોગ્રામ બનાવી લે છે.

પ્લાન્ટ્સનો ઉછેર કરો

ઘરમાં જો કજિયાનું પ્રમાણ વધે તો ઇન્ડોર પ્લાન્ટનું પ્રમાણ વધારવું જોઈએ. મની પ્લાન્ટ, તુલસીનો છોડ અથવા સ્નેક પ્લાન્ટ જેવા ઇન્ડોર પ્લાન્ટ્સ રાખો. આ છોડ ઑક્સિજનનું પ્રમાણ વધારે છે અને ઘરના સભ્યોનો મૂડ સારો રાખવામાં મદદ કરે છે. ધ્યાન રાખવું કે ઘરમાં ક્યારેય સુકાઈ ગયેલાં પાંદડા કે કાંટાવાળા છોડ ન રાખવાં જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી સુગંધિત પ્લાન્ટ મળે તો એ વધારે લાભદાયી પુરવાર થાય છે.

પ્લાન્ટ્સની માવજત માટે દરેક વ્યક્તિને એક ચોક્કસ દિવસ માટે જવાબદારી સોંપવામાં આવે તો એનાથી ઘરમાં હાર્મની અને સંવાદિતા પણ વધશે.

નકામી ચીજવસ્તુઓનો નિકાલ

ઘરમાં રહેલી નકામી ચીજવસ્તુઓનો નિકાલ કરો અને એની શરૂઆત તમારા પોતાના કબાટથી કરો. જેનો વપરાશ થતો હોય એવી જ ચીજવસ્તુઓ ઘરમાં રાખવી જોઈએ અને જેનો વપરાશ નથી એવી ચીજવસ્તુનો નિકાલ કરી નાખવો જોઈએ. ન વપરાતા મોબાઇલ પણ એમાં આવી જાય છે. જે કિંમત આવે એ કિંમતમાં એને આપી દો. ઘરમાં રહેલી નકામી ચીજવસ્તુઓ હંમેશાં રાહુને આકર્ષે છે અને રાહુનું કામ છે કારણ વિના પરિવારની વ્યક્તિના મનમાં વ‌િચારવમળો ઊભાં કરાવવાં.

astrologer astrology columnists lifestyle news life and style