12 April, 2026 03:19 PM IST | Mumbai | Acharya Devvrat Jani
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મનને મક્કમ રાખો: એવી જગ્યા પર જતા પહેલાં તમારા મનને મક્કમ રાખો, કારણ કે નકારાત્મકતા ત્યારે જ અસર કરે છે જ્યારે વ્યક્તિ માનસિક રીતે નબળી પડે છે.
ઘણી વખત અમુક જગ્યામાં નેગેટિવિટી હોય છે જેની અસર તરત જ મન પર થઈ જતી હોય છે. એ જગ્યાએ જવાનું મન ન થાય અને એમ છતાં ત્યાં જવું અત્યંત અનિવાર્ય હોય તો મનમાં આવતી નેગેટિવિટીને રોકવી કે અટકાવવી આવશ્યક થઈ જાય છે. વાસ્તુશાસ્ત્રમાં અને આપણાં અન્ય શાસ્ત્રોમાં એ જગ્યાની નેગેટિવિટીને અટકાવવા માટે કેટલાક સરળ રસ્તાઓ દર્શાવ્યા છે જેની આજે આપણે ચર્ચા કરવાના છીએ.
આ જે ઉપાયો છે એ તમારી આસપાસ એક પ્રોટેક્ટિવ શીલ્ડ એટલે કે રક્ષણાત્મક કવચ ઊભું કરવાનું કામ કરશે જે તમને વિચલિત નહીં થવા દે.
દરિયાઈ સૉલ્ટનો ઉપયોગ
જેને આખું મીઠું કહેવામાં આવે છે એ દરિયાઈ સૉલ્ટમાં નેગેટિવિટી શોષી લેવાની જબરદસ્ત ક્ષમતા છે. જો શક્ય હોય તો જે જગ્યા નેગેટિવિટી આપતી હોય એ જગ્યાએ જતા પહેલાં નહાવાના પાણીમાં દરિયાઈ મીઠું નાખીને સ્નાન કરવું જોઈએ. યાદ રહે, અહીં દરિયાઈ મીઠું નાખવામાં કંજૂસાઈ નથી કરવાની. મુઠ્ઠી ભરીને મીઠું પાણીમાં નાખવાનું છે અને એ મીઠું ઓગળી જાય એટલે એ પાણીથી સ્નાન કરવાનું છે. એ જગ્યાએથી પાછા આવ્યા પછી પણ આ જ કાર્ય કરવાનું છે અને દરિયાઈ મીઠું નાખીને એ પાણીથી સ્નાન કરી લેવાનું છે.
જો એ જગ્યા તમારા નિયંત્રણમાં હોય તો ત્યાં દરિયાઈ મીઠાવાળા પાણીથી પોતું કરવું કે કરાવવું જોઈએ. ઑફિસ પ્રિમાઇસિસ હોય તો તમારી બેસવાની જે જગ્યા હોય ત્યાં જાતે જ દરિયાઈ મીઠાવાળા પાણીથી પોતું કરી લેવું જોઈએ.
રક્ષાકવચ રાખો સાથે
શનિદેવના કે હનુમાનજીના મંદિરથી રક્ષાકવચ સમાન દોરો લઈને એ દોરો જમણા હાથના કાંડા પર બાંધવાથી પણ નકારાત્મક દૃષ્ટિ અને ઊર્જાથી બચાવ થાય છે. જો રક્ષાકવચ ન મળે તો હનુમાનજીનાં ચરણો પર લગાવેલા સિંદૂરનું તિલક કરવું જોઈએ. જો વ્યક્તિ મહિલા હોય તો તેણે કાનની પાછળના ભાગ પર આ સિંદૂર લગાવવું જોઈએ.
રક્ષાકવચની પોટલી જાતે પણ બનાવી શકાય છે. એક નાનકડા રૂમાલમાં બે ટુકડા કપૂર અને બે લવિંગ સાથે બાંધીને એ રૂમાલ ખિસ્સા કે પર્સમાં રાખવો જોઈએ. કપૂર અને લવિંગ નકારાત્મકતાને દૂર રાખે છે.
કરો ચંદનનું તિલક
એવી જગ્યા પર જતા પહેલાં ચંદન કે અષ્ટગંધનું તિલક કરવું જોઈએ. આ બન્ને સામગ્રી મનને શાંત અને એકાગ્ર રાખવાનું અને સાથોસાથ મનમાં મક્કમતા ભરવાનું કામ કરે છે. પણ યાદ રહે, આ તિલક મોટું હોવું જોઈએ. તલના દાણા જેટલું તિલક અસર કરે, પણ એની અસર એ સ્તરની જ રહેવાનું જે સ્તરનું એ તિલક છે.
નકારાત્મકતાનો અનુભવ વધારે થતો હોય તો તિલક મોટું હોય એ બહુ જરૂરી છે. શરૂઆતના સમયે ચણાના દાણા જેટલું તિલક કરવું હિતાવહ છે.
મંત્રશક્તિનો કરો ઉપયોગ
મંત્ર કોઈ પણ શસ્ત્ર જેટલી તાકાત ધરાવે છે. ન ગમતી કે પછી ભારોભાર નકારાત્મકતા આપતી જગ્યા પર જવાનું બને ત્યારે માનસિક રીતે મંત્રશક્તિનો સાથ લેવો જોઈએ. હનુમાન ચાલીસા, મહામૃત્યુંજય મંત્ર અને ગાયત્રી મંત્ર બહુ અસરકારક છે. હનુમાન ચાલીસા નકારાત્મક ઊર્જાને દૂર રાખે છે તો મહામૃત્યુંજય મંત્ર વ્યક્તિની આંતરિક ઊર્જાને સ્ટ્રૉન્ગ બનાવે છે, જ્યારે ગાયત્રી મંત્ર બુદ્ધિ અને વ્યક્તિની આભાને શુદ્ધ રાખવાનું કામ કરે છે.
જો આ મંત્રો કે ચાલીસા આવડતાં ન હોય તો એ સતત શ્રવણ કરવાથી પણ એનું ઉમદા પરિણામ જોવા મળે છે.
ખિસ્સામાં નાની હનુમાન ચાલીસા રાખવાથી પણ નકારાત્મક એનર્જીની અસર ઘટે છે. હનુમાન ચાલીસાની સૌથી મોટી ખૂબી એ છે કે એને અસાધના લાગતી નથી એટલે ક્યાંય પણ એ સાથે લઈ જઈ શકાય છે.
ઊર્જાનું શુદ્ધીકરણ કરો
જો જગ્યા તમારા નિયંત્રણમાં હોય તો એ જગ્યા પર જઈને ધૂપ કરવો જોઈએ. એમાં ગૂગળ, લોબાન કે લીમડાનાં પાન ઉત્તમ પરિણામ આપે છે. ધારો કે ધૂપ શક્ય ન હોય તો કપૂરદાની દ્વારા કપૂરનો ધૂપ કરવો જોઈએ. કોઈ પણ ધૂપ શક્ય ન હોય તો એ જગ્યાએ કપૂરનો છંટકાવ કરવો જોઈએ. ઑફિસ પ્રિમાઇસિસ હોય તો તમારા ટેબલ અને ચેરની ફરતે તમારે કપૂરનો છંટકાવ કરવો જોઈએ.
ઑફિસ-એરિયાની નકારાત્મકતા દૂર કરવા માટે ટેબલના એક ખૂણામાં કાચની એક વાટકી કે બાઉલમાં દરિયાઈ મીઠું ભરીને રાખવું અને દર અઠવાડિયે એ બદલતા રહેવું. વપરાશમાં આવી ગયેલા દરિયાઈ મીઠાને ફ્લશ કરી દેવું.