શસ્ત્રોનો નહીં, એનાં દૂષણોનો અસ્વીકાર કરવાનો છે

19 September, 2022 04:51 PM IST  |  Mumbai | Swami Satchidananda

દૂષણરહિત શસ્ત્રથી માણસ શ્રીરામ કે શ્રીકૃષ્ણ થઈ શકે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

શસ્ત્રો ભય પમાડનારાં પણ છે અને અભય આપનારાં પણ છે. ભયની સામે એ અભય આપનારાં બની શકે છે, પણ આપણે તો અહ‌િંસાનું પૂંછડું એવી રીતે પકડીને બેસી ગયા છીએ જાણે ભયભીત રહેવું એ સન્માન હોય. તમે જઈને જુઓ, દેશના બન્ને સરહદી વિસ્તારમાં હવે શાંતિ જોવા મળે છે અને એનું કામ છે ભય પમાડનારાં શસ્ત્રોનો વધતો સરંજામ અને સાથોસાથ હિંમતભેર લેવામાં આવેલાં પગલાં. જો આ જ નીતિ પહેલેથી રાખવામાં આવી હોત તો હિન્દુસ્તાનનો ‌ઇતિહાસ સૌથી અલગ હોત અને કદાચ અંગ્રેજો આ તરફ આવ્યા પણ ન હોત.

જે સમયે ભગવાન મહાવીર અને બુ‌દ્ધે અહિંસાનો સંદેશો આપ્યો એ સમયે નાહકની હિંસાનો અતિરેક હતો. ભોગ અને બલ‌િદાનમાં રચ્યાપચ્ચા રહેતા શાસકો અને પ્રજાને એ નાહકની હિંસાથી દૂર કરવા માટે અહ‌િંસાનો સંદેશ આપવામાં આવ્યો અને એની બહુ ધારી અસર ઊભી થઈ, જેને લીધે આ જ વાતને ત્યાર પછી આગળ લઈ જવામાં આવી, પણ સંદેશાનો મૂળ હેતુ વાતમાંથી નીકળી ગયો અને બસ અહ‌િંસા-અહ‌િંસાના નારા લાગવા માંડ્યા. એ નારાનું હાર્દ ખોટું હતું અને પ્રજા પણ હૈશો-હૈશો કરતા જોડાતી ગઈ, જેને લીધે દેશનું નિકંદન નીકળી ગયું.

દીન-દુખી, ગરીબ, દુર્બળ, લાચારની રક્ષા કરનારા અને અભય આપનારા પણ બની શકે છે. જ્યારે શિવાજી મહારાજ સુરતને લૂંટવા આવેલા ત્યારે અંગ્રેજોની કોઠીઓમાં લોકોએ પોતપોતાના 
દાગીના વગેરે જમા કરાવી દીધેલા અને અંગ્રેજોએ કોઠીની છત પર ચાર તોપો અને સામેના રોડ પર બે તોપ ગોઠવી દીધેલી. આ તોપોને કારણે અંગ્રેજોની કોઠી પર હુમલો થયો નહીં અને સંપત્તિ બચી ગયેલી. અર્થાત્ શસ્ત્રો ભયની સામે અભય પણ આપે છે. જો આ તોપ ન હોત તો બધું લૂંટાઈ જાત.

ઘણા સમયથી અંગ્રેજો પાસે આ તોપ પડી હતી, એનાથી કોઈને કશું નુકસાન થતું નહોતું, પણ ખરા સમયે એ કામ આવી અને લાખોની સંપત્તિ અને કોઠીને બચાવી લીધી. આમ કહેવાનો ભાવ એવો છે કે શસ્ત્રોનો ત્યાગ નથી કરવાનો, શસ્ત્રોમાંથી ઊભાં થતાં દૂષણોનો ત્યાગ કરવાનો છે. દૂષણરહિત શસ્ત્રથી માણસ શ્રીરામ કે શ્રીકૃષ્ણ થઈ શકે છે. તે રક્ષક અને પાલક થઈ શકે છે એટલે ખરો ભાર શસ્ત્રનાં દૂષણોના ત્યાગ પર જ હોવો જોઈએ; નહીં કે મૂળમાંથી શસ્ત્રોનો જ ત્યાગ કરી દેવા પર. એવું કર્યા પછી દેશમાં અરાજકતા ફેલાઈ અને આધુનિક શસ્ત્રના સ્વીકાર સાથે જ દેશમાં નવેસરથી શાંતિનો અનુભવ થવાનું શરૂ થયું.

(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

columnists astrology swami sachchidananda life and style