મોટાં થવું અને મહાન બનવું એ બન્ને વચ્ચે મોટો વિચારભેદ છે

03 December, 2022 10:40 PM IST  |  Mumbai | Acharya Vijay Ratnasundersurishwarji Maharaj

હૃદયને કોમળ રાખ્યા વિના, સ્વભાવને શીતળ બનાવ્યા વિના અને મનને સરળ, નિર્મળ રાખ્યા વિના મહાન બનવાના માર્ગ પર કદમ પણ રાખી શકાય એમ નથી.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

મોટા બની જવા માટે ક્યાં કોઈ મહેનત કરવી પડે છે? માત્ર સમય પસાર થાય અને માણસ આપોઆપ મોટો બનવા માંડે; પછી ભલેને તે સૂતો હોય કે રખડતો હોય, ભલેને તે ગુંડો હોય છે કે ખૂની હોય, ભલેને તે દુર્જન હોય છે કે દરિદ્ર હોય, ભલેને તે સામાન્ય હોય કે અસામાન્ય હોય. તે મોટો થઈ જ જાય છે, પણ મોટા થવું અને મહાન થવું એની વચ્ચે બહુ મોટો ફરક છે. મહાન બની રહેવા માટે તો માણસે આખી જિંદગી દાવ પર લગાવી દેવી પડે છે. હૃદયને કોમળ રાખ્યા વિના, સ્વભાવને શીતળ બનાવ્યા વિના અને મનને સરળ, નિર્મળ રાખ્યા વિના મહાન બનવાના માર્ગ પર કદમ પણ રાખી શકાય એમ નથી.
સ્વાર્થને ગૌણ બનાવવાની તૈયારી, અપેક્ષાઓની અવગણના કરવાની હિંમત, ચિત્તની પ્રસન્નતાને ખંડિત ન થવા દેવાનું લક્ષ્ય. આ અને આવાં અનેક પરિબળો ભેગાં થાય ત્યારે જ માણસના જીવનમાં કંઈક એવું પ્રગટે છે જે બીજા જીવોને માટે આકર્ષણનું કારણ બને છે, પ્રેરણાનું પાવક બને છે, પ્રેમનું કેન્દ્ર બને છે અને લાગણીઓનું સરોવર બને છે. આ જે કારકતા છે એને અપનાવવા માટે મહેનત નહીં, મન હોવું જોઈએ.
એક દિવસ પ્રવચનમાં આ સંદર્ભમાં અન્ય પણ કેટલીક વિગતો પર પણ પ્રકાશ ફેંક્યો અને પ્રવચન બાદ એક બહેન રૂબરૂ મળવા આવ્યાં. સાથે તેમના પતિ પણ હતા. આપણે એ બહેન વિશે વાત કરવી છે, પણ એ વાત લંબાણપૂવર્ક કરવી છે એટલે અહીં ટૂંકમાં પતાવવાની ઇચ્છા નથી. જોકે એ પણ કહેવાનું કે આ જ વાતને સહજ રીતે જો તમારે સમજવી હોય તો તમારે માનવું પડે કે મહાનતાને પામવા માટે તમારે જાગૃતિ સાથે મહેનત કરવી પડે અને તમારે અન્યના સુખનો વિચાર કરવો પડે.
જો તમે તમારી જાતને કેન્દ્રમાં રાખો તો ક્યારેય તમે મહાનતમ સ્તરે ન પહોંચી શકો, પણ જો તમે મનથી, દિલથી અન્યની સુખાકારી, અન્યની તકલીફોનો વિચાર કરો અને પછી એને દૂર કરવાની પ્રેરણા પામો તો જ તમે મહાનતાના સ્તરે પહોંચી શકો.
મહાન હોવું એ ગ્રહોનું કે કુંડળીઓનું તારણ નથી. મહાન હોવું એ તમારા વર્તન અને તમારા વ્યવહારનું કારક છે. તમારો વ્યવહાર કેવો છે, તમારું અન્ય સાથે વર્તન કેવું છે અને તમે અન્ય સાથે કેવી રીતે રહો છો એ વાત જ તમને મહાનતમ બનાવવાની દિશામાં આગળ લઈ જાય. કોઈ મારું વિચારતું નથી કે કોઈની પાસે મારે માટે સમય નથી જેવા વિચાર કરનારો હંમેશાં કૂપમંડૂક બનીને પોતાના નાનકડા ખાડાવાળી દુનિયામાં રહીને દુનિયાને કોસ્યા કરે છે. તે એ ભૂલી જાય છે કે તેની આ પ્રક્ર‌િયાથી જગત પણ તેને કોસતું થઈ ગયું છે.

columnists astrology