02 June, 2025 07:01 AM IST | Bikaner | Alpa Nirmal
કરણીમાતા મંદિર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જે કરણીમાતા મંદિરનાં દર્શન કર્યાં એ રૅટ ટેમ્પલ તો વિદેશીઓમાં પણ ભારે લોકપ્રિય છે. રાજસ્થાન ફરવા જનારા ફૉરેનર્સ બિકાનેરથી નજીક આવેલા આ મંદિરમાં અચૂક જાય છે. અમેરિકન રિયલિટી ટેલિવિઝન સિરીઝ ધ અમેઝિંગ રેસની ફર્સ્ટ સીઝનમાં આ મંદિર બતાવવામાં આવ્યું હતું. તો નૅશનલ જ્યોગ્રાફિક ચૅનલે એના પર આખી ડૉક્યુમેન્ટરી બનાવી છે
ભલે ગણપતિ બાપ્પાનું વાહન મુષક હોય, પણ મોટા ભાગના લોકો ઉંદરને જોઈ છળી મરે છે. આપણી બાળવાર્તાઓ, લોકકથાઓ તેમ જ ધાર્મિક સાહિત્યમાં પણ આ સસ્તન પ્રાણીનું ચિત્રણ પૉઝિટિવ છે. છતાંય ભારતીયો રૅટ-ફ્રેન્ડ્લી નથી કારણ કે ઉંદરો અમુક પ્રકારનો રોગચાળો ફેલાવવામાં મુખ્ય કર્તા છે. પ્લેગ, લેપ્ટોસ્પાયરોસિસ, હંટાવાઇરસ ઉપરાંત અનેક જીવલેણ રોગ ઉંદરના સંસર્ગથી થાય છે. એટલે જ આપણે મુષકથી દૂર ભાગીએ છીએ.
પણ રાજસ્થાનમાં એક મંદિર છે જ્યાં ભક્તો ઉંદરમામા તેમને અડી જાય કે પોતાના શરીર પર ચડી જાય એવી પ્રાર્થના કરે છે. બિકૉઝ, જો ચૂહા એવું કરે તો જે-તે વ્યક્તિનો બેડો પાર થઈ જાય છે.
યસ, આપણે વાત કરી રહ્યા છીએ હિસ્ટોરિકલ લૅન્ડમાર્ક્સ અને વાઇબ્રન્ટ રાજસ્થાની કલ્ચર ધરાવતા બિકાનેરથી ૩૦ કિલોમીટર દૂર આવેલા દેશનોકના કરણીમાતા મંદિરની. આ મંદિરમાં ૨૫ હજાર ઉંદરો છે જે એક રાજાની જેમ બિન્દાસ હરે છે, ફરે છે, ભોજન, પ્રસાદ આરોગે છે. વળી મંદિરના રસોડે ઉંદરોને ભાવતાં પકવાન રંધાય છે અને એટલું જ નહીં, મુષકોએ ખાધેલા કે બોટેલા ખોરાકને પ્રસાદ તરીકે લેવા ભાવિકો પડાપડી કરે છે.
વેલ, અહીં આવી અજીબોગરીબ પ્રથા કેમ છે? મંદિરમાં હજારોની સંખ્યામાં ઉંદરો હોવા છતાં કોઈ બીમારીઓ કેમ નથી ફેલાતી? આવા પ્રશ્નોના ઉત્તર મેળવવા કરણીમાતાની કથા જાણવી જરૂરી છે.
તો વાત છે વિક્રમ સંવત ૧૪૪૪ની એટલે ઈ. સ. ૧૩૮૭ની. રાજસ્થાનના થાર રણની નજીક આવેલા સુવાપ નામક કસબામાં રહેતાં મેહાજી અને દેવલબાઈને ત્યાં આસો મહિનાની સુદ સાતમે એક પુત્રી જન્મી. આમ તો મેહાજીને પહેલાંથી પાંચ દીકરીઓ હતી જ, છતાંય ચારણ જાતિનું આ યુગલ દીકરીના જન્મથી અત્યંત ખુશ હતું કારણ કે હિંગળાજ માતાના મહાન ભક્ત મેહાજી અનેક વિંટબણાઓ ભોગવી રણમાં માઇલોના માઇલો ચાલી વર્તમાનના બલૂચિસ્તાનમાં બિરાજમાન મા હિંગળાજનાં દર્શને ગયાં હતાં ત્યારે ભગવતીએ પોતે મેહાજીને દર્શન આપી કહ્યું કે હું તારા ઘરે આવી રહી છું. સાક્ષાત મા દુર્ગા પધારે ત્યારે કયાં માતા-પિતાને આનંદ ન હોય? કહેવાય છે કે કરણીમાતા, જેનું નામ પેરન્ટ્સે રિદ્ધિકંવર રાખ્યું હતું, તે દૈવીય અંશ છે એની મેહાજી અને દેવલબાઈને પહેલાંથી ખબર હતી, કારણ કે આ વખતે દેવલબાઈનો ગર્ભકાળ ૨૧ મહિનાનો હતો. સામાન્ય મનુષ્યનો ગર્ભકાળ ૯ મહિનાનો હોય, પણ દૈવી શક્તિ પૂરાં સવાબે વર્ષ માતાની કુક્ષિમાં રહ્યાં. આથી આવનારો જીવ જ દૈવી છે એનો અંદેશો મેહાજી તથા દેવલબાઈને આવી ગયો હતો.
ખેર, માતા-પિતા તો આંનદિત હતાં પણ પરિવારજનો? દરેકને આશા હતી કે મેહાજીનું છઠ્ઠું સંતાન તો પુત્ર જ હશે. એમાંય નવજાત શિશુની ફઈ અને કાકીએ તેને દૂધપીતી (મારી નાખવાની) કરવાની કોશિશ કરી ત્યારે અગમ્ય રીતે ફઈ અને કાકીની આંગળીઓ વાંકી થઈ ગઈ. આ ચેષ્ટા રિદ્ધિકંવરનો પહેલો ચમત્કાર હતો. પિતાને એ આખી બીનાની ખબર પડતાં તેમણે જાહેર કર્યું કે એ બાલિકા મા દુર્ગાનો અવતાર છે અને કાંઈ પણ ખોટું થતાં તે પણ દંડ કરશે. ત્યારથી રિદ્ધિકંવર કરણીબાઈ તરીકે જાણીતાં થયાં.
જેમ બાળકી મોટી થતી ગઈ એમ તેના ચમત્કારોની વાતોનો વ્યાપ પણ મોટો થતો હતો. એવામાં સુવાપ ગામના એક નિઃસંતાન શાહુકારને કરણીના આશીર્વાદથી પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. પછી તો કૉમન મૅન સહિત જાગીરદારો, રઈસો, ઈવન શાસકો પણ કરણીનાં દર્શને આવતાં થઈ ગયા. ઇતિહાસમાં નોંધ છે કે કિશોરી કરણી પાસે એવી શક્તિ હતી કે એક વખત તેણે રાજાના આખા સૈન્યને ફક્ત એક ઘડામાં રાખેલા ભોજનથી ભરપેટ જમાડ્યું હતું. કરણીના આવા પ્રતાપથી આ પ્રદેશના દરેક રાણા, સૂબેદાર, જાગીરદાર યુદ્ધ પૂર્વે કે મહત્ત્વનાં કામ કરવા જવા પૂર્વે માઈને મત્થા ટેકવા આવતા અને તેમનો વંશ અમર રહે એવી પ્રાર્થના કરતા.
આ રૅટ-ટેમ્પલમાં ઉંદરોને ‘કાબા’ કહેવાય છે.
હવે કરણી કિશોરીમાંથી યુવતી બની ગઈ હતી. તેની ઉંમર ૨૭ વર્ષની થઈ ગઈ હતી. રાજસ્થાનમાં આમેય બાળપણમાં જ વિવાહ કરવાની પ્રથા હતી ત્યારે ૨૭ વર્ષ તો બહુ જ કહેવાય. સ્વાભાવિક છે તેનાં માતા-પિતાને ચિંતા થાય, પણ આ દૈવીય અવતારને યોગ્ય વર મળવો મુશ્કેલ હતો. એવામાં કરણીએ પોતે જ બીજા ગામમાં રહેતા શિવભક્ત દેપાજી વિશે પિતાને કહ્યું અને તેમનાં લગ્ન થયા.
લગ્ન તો થયાં પરંતુ કરણીમાતા ભગવતીનો અંશ હતાં આથી તેમણે પતિને કહ્યું કે તેઓ બ્રહ્મચારી રહેશે. જોકે પતિનો વંશવેલો ચાલુ રહે એ સારું કરણીએ તેમની નાની બહેન ગુલાબને દેપાજી સાથે વરાવી. બહેનને ચાર પુત્રો થયા.
લગ્ન બાદ પણ અનેક ગામોમાં કરણીમાતાના આશીર્વાદથી રણપ્રદેશના કૂવાઓમાં ભરપૂર પાણી આવ્યાં અને સામાન્ય પ્રજાનાં દુઃખદર્દ દૂર થયાં. એ સાથે જ અનેક રાજામહારાજાઓએ પણ તેમના આશીર્વાદથી વિવિધ યુદ્ધો જીત્યાં.
લોકોનાં દુઃખદર્દ દૂર કરવા કરણીમાતા આજુબાજુના વિસ્તારોમાં ફરતાં. એવામાં ઈ. સ. ૧૪૧૯માં તેમણે દેશનોક (હાલ જ્યાં મંદિર છે) ગામ વસાવ્યું. પતિ, બહેન અને તેના ચાર પુત્રો તેમની પત્નીઓ સાથે અહીં સ્થાયી થઈ ગયાં. લગ્નજીવનનાં ૪૦ વર્ષ બાદ પતિનું મૃત્યુ થતાં તેમણે વિધવાનો વેશ ધારણ કર્યો અને રાજસ્થાની પ્રથા મુજબ એકલવાયું જીવન જીવવા લાગ્યાં. જોકે લોકકલ્યાણનાં કાર્યો કરતાં. એક દસકા બાદ બહેનના સૌથી નાના પુત્ર લક્ષ્મણનું આકસ્મિક નિધન થયું. ત્યારે ગુલાબબાઈ પુત્રને સજીવન કરવાની યાચના સાથે તેના મૃત શરીરને બહેન કરણી પાસે લાવી અને તેના કલ્પાંતથી વ્યથિત થઈ મા કરણી લક્ષ્મણના મૃતદેહને લઈ એક કુટિયામાં ધ્યાનમાં બેસી ગયાં.
સગાંવહાલાં, સ્નેહીઓ, અરે ગુલાબબાઈને પણ નહોતી ખબર પડતી કે કુટિયામાં શું થઈ રહ્યું છે. પૂરા ત્રણ દિવસ કરણીમાતા કાંઈ ખાધાપીધા વિના અંદર બંધ રહ્યાં. ચોથા દિવસના સૂર્યોદયે લક્ષ્મણે જ કુટિયાનો દરવાજો ખોલ્યો અને સહુ આશ્ચર્યચકિત. ત્યારે માતા કરણીએ વચન આપ્યું કે તેઓ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી તેમનાં બાળકોની રક્ષા કરશે.
મંદિરમાં રહેતા ઉંદરનું રહસ્ય હવે ખૂલે છે. કહેવાય છે લક્ષ્મણને પુનર્જીવિત કરવા કરણીમાતા યમલોક ગયાં હતાં અને યમરાજને લક્ષ્મણના પ્રાણ પરત કરવાનું કહ્યું ત્યારે યમરાજે કહ્યું, ‘આ શક્ય નથી. એક મનુષ્યને ફરી મનુષ્ય રૂપે જન્મવા પૂર્વે અનેક યોનિઓમાં જન્મ ધારણ કરવા પડે છે. એ પ્રથા તોડી ન શકાય.’ ત્યારે કરણીમાતાએ યમરાજને વચન આપ્યું કે તેમના ચારણ ભક્તો મૃત્યુ પછી મનુષ્યરૂપે પુનર્જન્મ લેવા પૂર્વે દેશનોકમાં ઉંદરરૂપે જન્મ લેશે.
સો કરણીમાતા મંદિરમાં ફરતા એ મુષકો તેમના વંશજો, ભક્તો છે. ઍન્ડ નવાઈની વાત એ છે કે એ મંદિરમાં રહેલા ઉંદરની સંખ્યા વર્ષોથી એની એ જ રહે છે. એક પણ ઉંદર વધતો નથી ને એકેય ઘટતો નથી અને બીજું અચરજ એ છે કે મંદિરમાં આટલી મોટી માત્રામાં ઉંદરો છે પણ ગામમાં એકેય મુષક નથી.
હવે વાત કરીએ મંદિરની તો કરણીમાતાના મહાપ્રયાણ બાદ ૧૫૩૦ની આસપાસ અહીં નાનકડા ગર્ભગૃહમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી. ત્યાર બાદ આટલાં વર્ષો દરમ્યાન અનેક શાસકો અને ભક્તોએ એનો પુનરુદ્ધાર કરાવ્યો. દરેક જીર્ણોદ્ધાર વખતે મંદિરનો વ્યાપ વધતો ગયો. હાલમાં ઊભેલું રાજપૂત શૈલીમાં બનેલું આ મંદિર વીસમી શતાબ્દીના આરંભમાં બિકાનેરના મહારાજા ગંગા સિંહે બનાવડાવ્યું છે. શુભ્ર આરસપહાણમાં કોતરી-કોતરી કારીગરોએ અનેક કહાનીઓને મૂર્તિમંત કરી છે. એ કોતરણી તો અદ્ભુત છે જ સાથે આટલી સદીઓ પછી પણ ભક્તોની આસ્થા બરકરાર છે. વર્ષના ૩૬૫ દિવસ સવારના ચાર વાગ્યાની મંગળા આરતીથી શરૂ થતી માતાની વિશેષ ભક્તિ, શણગાર તો સમયે-સમયે થાય જ છે સાથે અહીંના મુષકોને પણ સમયે-સમયે ભિન્ન-ભિન્ન ભોગ ધરાવાય છે.
કરણીમાતા શક્તિ અને વિજયનાં દેવી ગણાય છે. આથી ફક્ત ચારણો જ નહીં; સ્થાનિક લોકો, રાજસ્થાનના બીજા વિસ્તારમાં રહેતા બીજી જ્ઞાતિઓના લોકો, ઈવન બિકાનેરની નજીકની બૉર્ડર પર તહેનાત જવાનો પણ માતાનાં દર્શને આવે છે અને વિજયના આશીર્વાદ પામે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ઑપરેશન સિંદૂરની કામીયાબી પછી વિક્ટરી પ્રદાન કરતાં માતાનાં દર્શન કરવા ગયા હતા.
ગર્ભગૃહમાં બિરાજિત કરણીમાતાની મૂર્તિ ૭૫ સેન્ટિમીટર ઊંચી છે અને મુગટ અને ફૂલોની માળા, આભૂષણોથી સુશોભિત રહે છે. તેમના એક હાથમાં ત્રિશૂળ છે અને માતાની બાજુમાં તેમની બે બહેનોની નાના કદની મૂર્તિઓ છે. ચૈત્રી અને શારદીય બેઉ નવરાત્રિ દરમિયાન અહીં મેળો યોજાય છે તો નોરતા દરમિયાન જ દેશનોકની આજુબાજુના ૪૨ કિલોમીટરની પગપાળા પરિક્રમા યોજાય છે, જેને આરણ પરિક્રમા કહે છે.
મુંબઈથી બિકાનેર જવા ડાયરેક્ટ ટ્રેન છે, પણ હવાઈ યાત્રા માટે ફ્લાઇટ જ લેવી પડે. બિકાનેરથી દેશનોક માટે ખાનગી ટૅક્સીઓ, સરકારી બસની સુવિધા તો છે જ ઉપરાંત ટ્રેન પણ છે. અડધો કલાકની આ રેલ જર્ની મસ્ત છે. રહેવા-જમવા માટે મંદિરમાં સુવિધા છે પરંતુ વધુ સગવડયુક્ત અકોમોડેશન માટે બિકાનેર ઇઝ બેસ્ટ ઑપ્શન. અને હા, આટલે દૂર ગયા હો તો બિકાનેરનું સાઇટ-સીઇંગ પણ કરવાનુંને!
ખાસિયતો શું છે?
કરણીમાતા મંદિરની નકશી તો અવ્વલ છે પરંતુ અહીંનું મુખ્ય દ્વાર અસલ ચાંદીનું છે. હૈદરાબાદના એક ભક્તે ૧૯૯૯માં મંદિરના નૂતનીકરણ કરવા સાથે સિલ્વર ગેટ ચડાવ્યો હતો.
કાળા કાબાઓની વચ્ચે કેટલાક સફેદ ઉંદરો પણ ફરતા હોય છે, જો એ કાબો દેખાઈ જાય તો ભક્તોને ભયો ભયોની લાગણી થઈ જાય છે. ગર્ભગૃહથી લઈ આખો પરિસર, મંદિરની છત, દીવાલો, પાઇપ ઈવન જમીન પર તમને ઢગલાબંધ ઉંદરો સૂતા, ખાતા, દોડાદોડ કરતા જોવા મળે છે. તેમને ઈજા ન થાય એ સારુ ભક્તોને પગ ઘસડીને ધીમે-ધીમે ચાલવાની સૂચના આપતાં બોર્ડ ઠેકઠેકાણે લગાડાયાં છે. છતાંય કોઈનાથી કાબા પર પગ મુકાઈ જાય, કચડાઈ જાય કે મરી જાય તો ભક્ત સોનાનો કે ચાંદીનો સૉલિડ ઉંદર મંદિરમાં ચડાવે છે.
માતાજીને ભોગ ધર્યા પછી એ પ્રસાદ પહેલાં ઉંદરોને અપાય છે. ત્યાર બાદ ઉંદરોએ બોટેલો ભોગ પ્રસાદ તરીકે ભક્તોને અપાય છે. ભાવિકો માતાને દૂધ, બુંદીના લાડુ, પનીર, દૂધનો માવો વગેરે ખાદ્યપદાર્થો ધરે છે.
ભક્તોની માન્યતા છે કે આ ઉંદરની લાળમાં એવું તત્ત્વ હોય છે જેનાથી મનુષ્યોની રોગપ્રતિકારક શક્તિ વધે છે.
રાજસ્થાનના લોકોને કરણીમાતા પર અખૂટ શ્રદ્ધા છે. દેશનોક ઉપરાંત ચુરુ, ઉદયપુર તેમ જ અનેક શહેરોમાં આ માઈના મઢ છે જેમાં ઉદયપુરનું મંદિર એના બ્યુટિફુલ લોકેશન માટે પ્રખ્યાત છે.