03 September, 2025 11:06 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ભગવાન શ્રીવિષ્ણુ
Parivartini Ekadashi 2025: ભાદ્રપદ શુક્લપક્ષની આજે એકાદશી છે. આજની એકાદશીને પરિવર્તિની એકાદશી પણ કહે છે. એ ઉપરાંત વામન, જયઝૂલણી અને ડોલ એકાદશી જેવાં નામોથી પણ તે ઓળખાય છે. આજના દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રાસનમાં પોતાની કરવટ બદલે છે. આજના દિવસે વ્રત કરવાનો મહિલા છે કારણકે તેનાથી વિષ્ણુ ભગવાનને પ્રસન્ન રાખી શકાય છે. આ એકાદશીનું વ્રત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના વામન સ્વરૂપની પૂજા કરવામાં આવે તો અક્ષય તૃતિયાનું ફળ પણ મળતું હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ પોતાનું સ્વરૂપ બદલે છે, તેથી તેને પરિવર્તનિની એકાદશી કહેવામાં આવે છે.
કથા જાણી લો આ એકાદશી પાછળની
આ એકાદશી (Parivartini Ekadashi 2025)ની કથા એવી છે કે રાજા બલી ખૂબ જ શક્તિશાળી અસુર હતો પણ સાથે જ તે ભગવાનનો એટલો જ પ્રખર ભક્ત પણ હતો. તેણે એકવાર યજ્ઞ અને દાનનું આયોજન કર્યું. તેણે ઇન્દ્રલોક અને તમામ દેવતાઓને પોતાની શક્તિથી હરાવ્યા. ત્યારબાદ બધા દેવતાઓ ડઘાઈ ગયા ને ભગવાન વિષ્ણુ પાસે ગયા અને તેમની મદદ માગી. દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન વિષ્ણુએ વામનનું સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાન વામનના રૂપમાં રાજા બલી પાસે ગયા અને દાનમાં ત્રણ પગલા જેટલી જમીન માગી. બલીને લાગ્યું કે તે ત્રણ પગલા જેટલી જમીન તો કેટલી નાની વાત છે અને તેણે તરત જ હા પાડી દીધી. પણ પછી તો ભગવાન વામને તેમનું સ્વરૂપ ખૂબ જ વિશાળ બનાવી દીધું. એક પગલામાં તેમણે પૃથ્વીને માપી. બીજા પગલામાં સ્વર્ગ સમાયું અને જ્યારે ત્રીજા પગલા માટે કોઈ જગ્યા બાકી ન રહી ત્યારે વામનના રૂપમાં ભગવાને રાજા બલી (Parivartini Ekadashi 2025)ને પૂછ્યું કે બોલો હવે હું ત્રીજું પગલું ક્યા મુકું? ત્યારે રજા બલીએ નમ્રતાપૂર્વક કહ્યું કે મારા માથે મૂકો તાય્રે ભગવાને પોતાનો ત્રીજો પગ રાજા બલીના માથા પર મૂક્યો, જ્યાંથી તેઓ પાતાલ લોક ગયા. ભગવાન બલીની ભક્તિ અને વિનમ્રતા જોઈને ભગવાન ખૂબ જ ખુશ થયા અને બલીને વરદાન આપ્યું કે તે હંમેશા તેની સાથે અધોલોકમાં રહેશે. ત્યારથી એક મૂર્તિ પાતાળમાં અને બીજી ક્ષીરા સાગરમાં સ્થાપિત કરવામાં આવી.
આ દિવસે શું કરવું?
આજે વ્રત (Parivartini Ekadashi 2025) રાખવામાં આવે તો જૂની સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે, ખાસ કરીને દાંપત્યજીવનને લગતી અડચણો દૂર થાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવી. ગંગાજલ સાથે પંચામૃત વડે ભગવાનની પૂજા કરવી જોઈએ. ભગવાન વિષ્ણુને ચંદન અને પીળા ફૂલો અર્પણ કરવા જોઈએ. ઘરમંદિરમાં દીવો કરવો જોઈએ. કૃપા મેળવવા માટે મંત્રોનો જાપ કરવો જોઈએ. વિષ્ણુને તુલસીના પાન પણ અર્પણ કરી શકાય છે.
(ડિસક્લેમરઃ અમે એવો કોઈ દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. વધુ માહિતી માટે આ ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લેવી)