બીજા ‍ગમેતેટલા માર્ગ અપનાવો, શ્રીકૃષ્ણની ભક્તિ વિના એ તમામ નકામા છે

06 June, 2025 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્ઞાનયોગ અને કર્મયોગમાં આ ભક્તિયોગ મળે તો જ એ મુક્તિદાયક બને છે, અન્યથા નહીં.

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

શ્રીમદ્ ભાગવતજીમાં ઉદ્ધવજી પ્રભુને પૂછે છે, ‘હે પ્રભુ! આપે મને યોગમાર્ગ, જ્ઞાનમાર્ગ, ભક્તિમાર્ગ વગેરેનો ઉપદેશ આપ્યો પરંતુ જે પોતાના મનને વશ કરી શકે છે. તેને જ યોગમાર્ગ સિદ્ધ થાય છે. આ મન માંકડા જેવું છે. એને વશ કરવું દુષ્કર છે. એટલે જે મનુષ્યો મનને વશ ન કરી શકે તે સિદ્ધિને કેવી રીતે સહેલાઈથી પ્રાપ્ત કરી શકે એ મને કહો.’

ત્યારે શ્રી ભગવાન બોલ્યા, ‘હે ઉદ્ધવ, અર્જુને પણ મને આ જ પ્રશ્ન પૂછેલો. મનને વશ કરી શકાય છે પરંતુ એ બધાની ખટપટમાં ન પડવું હોય તો મને પ્રાપ્ત કરવાનો સહેલો માર્ગ મારી નિષ્કામ ભક્તિનો છે અને ભક્તિવાળો મનુષ્ય અનાયાસે જ્ઞાનવાળો, બુદ્ધિવાળો, વિવેકવાળો અને ચતુર બને છે. અને અંતે મને પ્રાપ્ત કરે છે.’

ભક્તિ કે સાધન કહૌ બખાની સુગમ પંથ મોહિ પાવહી પ્રાની ઉદ્ધવ! આ ભક્તિ સાધનનાં તો હું જેટલાં વખાણ કરું એટલાં ઓછાં છે. આ માર્ગ તદ્દન સહેલો છે અને સરળ છે અને તેથી મનુષ્ય મને પ્રાપ્ત કરે છે. ભક્તિ સ્વતંત્ર છે, એને કોઈ અવલંબનની કે કોઈ ક્રિયાકાંડની જરૂર પડતી નથી. સર્વ જ્ઞાની હોય તેને પણ ભક્તિની જરૂર પડે છે. જ્ઞાનયોગ અને કર્મયોગમાં આ ભક્તિયોગ મળે તો જ એ મુક્તિદાયક બને છે, અન્યથા નહીં.

ભગવાન કહે છે, ‘ઉદ્ધવ! કલ્યાણનાં અનેક સાધનો છે. કર્મ, યશ, સત્ય, દમ, શમ, ઐશ્વર્ય, યજ્ઞ, તપ, દાન, વ્રત, નિયમ પણ એ સર્વથી શ્રેષ્ઠ મારી ભક્તિ છે. એ સર્વ પાપને બાળીને ભસ્મ કરે છે. યોગ, સાંખ્ય (જ્ઞાન-વિજ્ઞાન), ધર્મ, વેદાધ્યયન, તપ, ત્યાગ, મન એ પ્રાપ્ત કરવાને એટલાં સમર્થ નથી જેટલી અનન્ય પ્રેમથી મારી ભક્તિ મને પ્રાપ્ત કરવાને સમર્થ છે.’

શ્રીકૃષ્ણની ભક્તિ અંક છે, બીજાં સાધન સર્વે શૂન્ય. અંક વિના સહુ અફળ છે, સહ શૂન્ય શૂન્ય દશ ગુન્ય દસગણાં બિદુ આદ્ય એક એક અંક. અર્થાત્ : પરબ્રહ્મ શ્રીકૃષ્ણની ભક્તિ એકડા જેવી છે અને બીજાં સાધનો શૂન્ય જેવાં છે. એક વિના શૂન્ય ગમેતેટલાં હોય, એ શૂન્યોની કંઈ કિંમત નથી. પણ જો આગળ એક અંક આવે તો પ્રત્યેક શૂન્યની કિંમત દસગણી વધતી જાય છે. દસગણાં બિંદુઓ હોય પણ આગળ એક અંક હોય તો જ એની ગણના થઈ શકે છે. પણ જો એક અંક આગળ ન હોય તો ગમેતેટલાં શૂન્યો હોય તો પણ એ નકામાં છે. એવી જ રીતે જેણે શ્રીકૃષ્ણની ભક્તિ કરી છે તેણે સર્વ સાધનો કર્યાં છે પરંતુ જો ભક્તિ વિના બીજા ગમેતેટલાં સાધનો કર્યાં હોય તો પણ એ નકામાં છે.

-વૈષ્ણવાચાર્ય ૧૦૮ શ્રી પૂજ્ય દ્વારકેશલાલજી મહારાજશ્રી

culture news religion religious places life and style columnists gujarati mid-day mumbai yoga