સાચી દિશામાં પુરુષાર્થ કર્યા વિના જગત કે જગદીશની પ્રાપ્તિ અસંભવ છે

30 May, 2025 06:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગાડીમાં બેસીને ગિયરમાં નાખ્યા વગર ગાડીને ગમે એટલું ઍક્સેલરેટર આપો, તમારી એનર્જી વપરાશે પરંતુ ગતિ સંભવ નથી, એક ઇંચ પણ ગાડી હલશે નહીં.

પ્રતીકાત્મક તસવીર

દૃષ્ટિ, સ્થિતિ અને પ્રાપ્તિ આ ત્રણેય આપણી માનસિક પરિસ્થિતિઓ છે, બોલવામાં ભલે આ શબ્દો બહુ ઊંચા લાગે અથવા બહુ ઊંડા કે બહુ જટિલ લાગે; પણ આજે પ્રત્યેક વ્યક્તિ આ ત્રણેય વસ્તુમાંથી પસાર થઈ રહી છે. આપણી દૃષ્ટિ ક્યાંક અલગ છે એટલે કે આપણી નજર આપણી ઇચ્છાઓ અને આપણી આકાંક્ષાઓ જેને આપણે દૃષ્ટિના રૂપમાં ઓળખીએ, એ આકાંક્ષાઓને પ્રાપ્ત કરવા માટે જે આપણી સ્થિતિ હોવી જોઈએ, આપણું કૅલિબર હોવું જોઈએ અથવા જે આપણામાં પોટેન્શિયલ હોવું જોઈએ એને સ્થિતિ તરીકે ઓળખીએ. જે વસ્તુ આપણી પાસે ઑલરેડી છે અથવા પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ એને આપણે પ્રાપ્તિ તરીકે ઓળખીએ.

આજકાલ પ્રત્યેક વ્યક્તિ, પછી એ બુઝુર્ગ હોય, યુવાન હોય, ટીનેજર હોય, યંગ હોય, સ્ત્રી હોય કે પુરુષ; બધા માટે આ પરિસ્થિતિઓ સમાન લાગુ પડે છે. આ ત્રણેયમાંથી સુખ તો મળે છે, પરંતુ બેને કાલ્પનિક સુખ કહ્યાં છે. દૃષ્ટિ કાલ્પનિક સુખ છે જે કલ્પનાના સાગરમાંથી નીકળેલું મોતી છે અને સ્થિતિ આપણામાં રહેલી પ્રામાણિક પુરુષાર્થ કરવાની એક તત્પરતા છે અને એનાથી જે પ્રાપ્ત થાય છે એ સુખ છે, જે ભૌતિક પણ હોઈ શકે એટલે કે જે સુખ કાયમી આપણી પાસે ન પણ હોય અને ઘણાં સુખ એવાં હોય જે એક વાર મળી જાય તો એ કાયમ માટે આપણી પાસે રહી જાય. એ દૃષ્ટિ અને સ્થિતિ પર નિર્ભર છે. આજની યંગ જનરેશન અથવા આજની કોઈ પણ વ્યક્તિ પોતાની આકાંક્ષાઓને મહત્ત્વ નહીં આપે અને એની પૂરી કરવા માટે પોતાનો પુરુષાર્થ યોગ્ય દિશામાં નહીં વાપરે તો એને પ્રાપ્તિ કેવી રીતે સંભવ છે? પછી એ પ્રાપ્તિ જગતની હોય કે જગદીશની હોય, બન્ને અસંભવ છે. હું હંમેશાં મારી કથાઓમાં કહેતો રહું છું કે આપણી ઇચ્છાઓ જ આપણને થકવી ન દે એ આપણે જાણવું જોઈએ. કિનારા પર લાગેલું વહાણ એની દોરી છોડતાં ભૂલી જાઓ તો ગમે એટલાં હલેસાં મારો, તમારો પુરુષાર્થ ખર્ચ થશે પણ ગતિ નહીં થાય. ગાડીમાં બેસીને ગિયરમાં નાખ્યા વગર ગાડીને ગમે એટલું ઍક્સેલરેટર આપો, તમારી એનર્જી વપરાશે પરંતુ ગતિ સંભવ નથી, એક ઇંચ પણ ગાડી હલશે નહીં.

આપણે બધાએ એ જ વિચારવાનું રહ્યું કે આપણે અત્યારે આ જગતમાં સુખ પ્રાપ્ત કરવા માટે જે પુરુષાર્થ કરી રહ્યા છીએ એમાં આપણી દશા અને આપણી દિશા બન્ને યોગ્ય છે કે નહીં? જો આ પ્રશ્ન સામે આવતો હોય તો યા તો પોતાની જાતને યા કોઈ અનુભવી વ્યક્તિને અથવા તો પોતાના ગુરુજનને પૂછીને યોગ્ય દિશા અને આપણી દશા પ્રશસ્ત કરવી જોઈએ. તો આપણી ગતિ, પ્રગતિ, સ્થિતિ અને પરિસ્થિતિમાં બદલાવ જરૂર સંભવ છે.

સારું વાંચવું, સારું જોવું, સારું શીખવું અને સારાના સંગમાં રહેવું બહુ જરૂરી છે; એનું નામ જ સત્સંગ છે.

-આશિષ વ્યાસ

culture news mental health health tips life and style columnists gujarati mid-day mumbai