13 February, 2026 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સુંદરતાની આ આંધળી દોટ આજે સૌને સોશ્યલ મીડિયાના નવા-નવા નુસખાઓ પાછળ દોડાવી રહી છે. ઇન્સ્ટાગ્રામ ખોલતાં જ ક્યારેક ફેસ રોલર, ક્યારેક આઇસ બાથ તો ક્યારેક વિચિત્ર દેખાતા માસ્ક આપણી નજરે ચડે છે ત્યારે શાર્પ જૉ-લાઇનના જમાનામાં ઇન્ટરનેટ પર ફેશ્યલ ડ્રાય બ્રશિંગનો ટ્રેન્ડ વાયુવેગે ફેલાયો છે. તમારા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ ફીડમાં તમે જોયું જ હશે કે લોકો નરમ બ્રશ વડે ચહેરા પર મસાજ કરીને એવો દાવો કરે છે કે એનાથી મોંની ચરબી ઓગળી જાય છે અને જૉ-લાઇન મૉડલ્સ જેવી તીક્ષ્ણ બની જાય છે. પણ શું ખરેખર એક સાધારણ બ્રશ તમારો ફેસ-કટ બદલી શકે કે પછી આ પણ ગ્વા શા જેવો જ માત્ર એક દેખાદેખીનો ટ્રેન્ડ છે?
ફેશ્યલ ડ્રાય બ્રશિંગ એ એક એવી પ્રક્રિયા છે જેમાં નરમ બ્રશની મદદથી ચહેરાની ત્વચા પર હળવા હાથે માલિશ કરવામાં આવે છે. આમાં કોઈ તેલ કે ક્રીમનો ઉપયોગ કર્યા વગર સૂકી ત્વચા પર જ બ્રશ ફેરવવામાં આવે છે. આ પદ્ધતિ મુખ્યત્વે આયુર્વેદિક પરંપરા ઘર્ષણથી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે. લોકો માને છે કે બ્રશિંગ કરવાથી ચહેરાની ચરબી ઓગળે છે અને જૉ-લાઇન શાર્પ બને છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઈએ તો બ્રશિંગથી ચહેરા પરની પફીનેસ દૂર થાય છે અને ચહેરો થોડો વધુ શેપમાં દેખાય છે. એ બ્લડ-સર્ક્યુલેશનને સુધારવાની સાથે નૅચરલ ગ્લો આપે છે. એ સમજવું જરૂરી છે કે ડ્રાય બ્રશિંગથી ચહેરાનાં હાડકાંનો આકાર બદલાતો નથી કે જમા થયેલી ચરબી દૂર થતી નથી. એ માત્ર કામચલાઉ રીતે સોજો ઉતારીને ચહેરાને સુડોળ દેખાડવામાં મદદ કરી શકે છે.
કોઈ પણ બ્યુટી ટ્રેન્ડને અપનાવતાં પહેલાં એના સિક્કાની બન્ને બાજુ જોવી જોઈએ. ફાયદાની વાત કરીએ તો ડ્રાય બ્રશિંગ ટેક્નિક ત્વચાના મૃત કોષોને દૂર કરીને ત્વચાને નરમ બનાવે છે. ચહેરાના સ્નાયુઓને રિલૅક્સ કરે છે. સારા બ્લડ-સર્ક્યુલેશનને લીધે ઇનર ગ્લો મળે છે. એના ગેરફાયદાની વાત કરીએ તો જો બ્રશ સખત હોય અથવા જોરથી ઘસવામાં આવે તો ત્વચા પર રૅશિસ પડી શકે છે. જો તમને પહેલાંથી જ ખીલ હોય તો બ્રશિંગથી બૅક્ટેરિયા આખા ચહેરા પર ફેલાઈ શકે છે. વધુપડતા બ્રશિંગથી ત્વચાનું કુદરતી સ્કિન બૅરિયર નબળું પડી શકે છે. ઘણા લોકો ડ્રાય બ્રશિંગ અને ગ્વા શાને એક જ પદ્ધતિ માને છે પણ હકીકતમાં બન્ને અલગ-અલગ છે. ડ્રાય બ્રશિંગ સૂકી ત્વચા પર નરમ બ્રશથી થાય છે. એનો મુખ્ય હેતુ એક્સફોલિએશન અને બ્લડ-સર્ક્યુલેશન વધારવાનો છે અને ગ્વા શામાં પથ્થરના ટૂલ અને તેલ કે સિરમનો ઉપયોગ થાય છે. એ સ્નાયુઓને રિલૅક્સ કરે છે.