02 February, 2026 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હેરકૅરની દુનિયામાં એક મોટું પરિવર્તન આવ્યું છે. અત્યાર સુધી આપણે મોંઘાં તેલ, શૅમ્પૂ અને કન્ડિશનર પાછળ હજારો રૂપિયા ખર્ચતા હતા, પણ જો સ્કૅલ્પ જ સ્વસ્થ ન હોય તો આ બધી જ મહેનત નકામી છે. આજે બ્યુટી-એક્સપર્ટ્સ માને છે કે સ્વસ્થ વાળની ખરી શરૂઆત સ્કૅલ્પથી થાય છે અને એટલે જ લોકો હવે વાળની બહારથી માવજત કરવાને બદલે સ્કૅલ્પના માઇક્રોબાયોમને ટ્રીટ કરવા પર ધ્યાન આપી રહ્યા છે. આપણી માથાની ચામડી પર અબજો નાના જીવંત બૅક્ટેરિયા અને ફૂગ રહેલાં હોય છે, જેને માઇક્રોબાયોમ કહેવાય છે. જ્યારે આ બૅક્ટેરિયાનું સંતુલન જળવાયેલું હોય ત્યારે જ વાળ સ્વસ્થ રહે છે. જો આ સંતુલન બગડે તો ડૅન્ડ્રફ, ખંજવાળ, વાળ ખરવાની સમસ્યાઓ થાય છે.
સ્કૅલ્પ ફેશ્યલ અને ડીટૉક્સ
જેમ ચહેરાની ગંદકી દૂર કરવા ફેશ્યલ કરાય છે એમ હવે સ્કૅલ્પ ફેશ્યલનો ટ્રેન્ડ વધ્યો છે. આમાં માથાની ચામડી પર જામેલા ડેડ સેલ્સ, પ્રદૂષણ અને કેમિકલ્સને દૂર કરવા માટે ખાસ ક્લેન્ઝિંગ કરવામાં આવે છે. લોકો સ્કૅલ્પ સ્ક્રબનો ઉપયોગ કરે છે જેમાં સી-સૉલ્ટ અથવા શુગર હોય છે જે ચામડીને એક્સફોલિએટ કરે છે.
પ્રોબાયોટિક હેર-પ્રોડક્ટ્સ
માઇક્રોબાયોમને સંતુલિત કરવા માટે લોકો હવે પ્રોબાયોટિક શૅમ્પૂ અને સિરમનો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રોડક્ટ્સમાં સારા બૅક્ટેરિયા હોય છે જે સ્કૅલ્પ પર થતી ખંજવાળ, ડૅન્ડ્રફ અને બળતરાને રોકે છે. એ ચામડીના Ph લેવલને જાળવી રાખે છે.
સ્કૅલ્પ સિરમ અને એસેન્સ
માત્ર તેલ નાખવાને બદલે હવે લોકો વૉટર-બેઝ્ડ સિરમનો ઉપયોગ કરે છે. રાત્રે સૂતી વખતે સ્કૅલ્પ સિરમ લગાવવામાં આવે છે જેમાં હાયોલ્યુરૉનિક ઍસિડ અથવા નિયાસિનામાઇડ જેવાં તત્ત્વો હોય છે જે સ્કૅલ્પને અંદરથી હાઇડ્રેટ કરે છે અને મૂળને મજબૂત બનાવે છે.
ડર્મારોલિંગ અને મસાજ
સ્કૅલ્પ પર લોહીનું પરિભ્રમણ વધારવા માટે લોકો ટૂલ્સનો સહારો લઈ રહ્યા છે. સિલિકૉન સ્કૅલ્પ બ્રશ જેવાં ટૂલ્સનો ઉપયોગ શૅમ્પૂ કરતી વખતે કરવામાં આવે છે જે સ્કૅલ્પને નરમાઈથી મસાજ આપી બ્લડ-સર્ક્યુલેશન સુધારે છે. એ ઉપરાંત ડર્મારોલર જેવા ટૂલનો પણ ઉપયોગ વધ્યો છે જે સ્કૅલ્પમાં અત્યંત સૂક્ષ્મ છિદ્રો બનાવીને શરીરનું કુદરતી હીલિંગ મેકૅનિઝ્મ સક્રિય કરી વાળના મૂળને પોષણ આપે છે.
આહાર અને જીવનશૈલી
નિષ્ણાતો માને છે કે માઇક્રોબાયોમ અંદરથી પણ બને છે. એટલે લોકો તેમના આહારમાં ઓમેગા થ્રી ફૅટી ઍસિડ્સ, બાયોટિન અને પ્રોબાયોટિક ખોરાક વધારે લઈ રહ્યા છે. એવી જ રીતે તનાવ સ્કૅલ્પ માઇક્રોબાયોમ પર નકારાત્મક પ્રભાવ પાડતો હોવાથી લોકો યોગ, એક્સરસાઇઝ તેમ જ વિવિધ પ્રકારની ફિઝિકલ ઍક્ટિવિટીનો સહારો લઈને સ્ટ્રેસ મૅનેજ કરી રહ્યા છે.