મૂડ અને વાતાવરણ અનુસાર ઘરમાં કરો ગાર્ડનિંગ

08 September, 2026 02:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હવે લોકો માનસિક સ્વાસ્થ્ય અને ઘરમાં સકારાત્મક ઊર્જા જાળવી રાખવા મૂડ-આધારિત છોડની પસંદગી કરી રહ્યા છે

ઇન્ડોર પ્લાન્ટ્સ

ઇન્ડોર પ્લાન્ટ્સ માત્ર ઘરની સુંદરતા વધારવાનું કામ નથી કરતા; એ આપણી લાગણીઓ, મનની શાંતિ અને કાર્યક્ષમતા પર પણ સીધી અસર કરે છે. વ્યસ્ત જીવનમાં જ્યારે ઘર જ આપણું મુખ્ય આશ્રયસ્થાન છે ત્યારે કયા રૂમમાં અથવા કેવા માહોલ માટે કયો છોડ પસંદ કરવો એ સમજવું ખૂબ જરૂરી છે.

મેન્ટલ હેલ્થ સારી રાખવા આ છોડને ઘરમાં લાવો

જો તમે ઘરમાં એવું વાતાવરણ ઇચ્છો છો જ્યાં દિવસભરનો થાક ઊતરી જાય અને મન શાંત થાય તો ચોક્કસ પ્રકારના છોડ મદદરૂપ બને છે. 

લૅવન્ડર : આ છોડમાંથી આવતી હળવી સુગંધ ચેતાતંત્રને શાંત કરે છે. એને બેડરૂમમાં રાખવાથી ઊંઘ સારી આવે છે અને માનસિક તનાવ ઘટે છે.

સ્નેક પ્લાન્ટ : આ છોડ રાત્રે પણ ઑક્સિજન આપે છે અને હવામાંથી ઝેરી તત્ત્વો દૂર કરે છે. જે જગ્યાએ શાંતિ અને સ્વચ્છ વાતાવરણ જોઈતું હોય ત્યાં આ શ્રેષ્ઠ વિકલ્પ છે.

મૂડ અને ફોકસ વધારતા છોડ

હોમ-ઑફિસ કે સ્ટડીરૂમમાં જ્યાં ધ્યાન કેન્દ્રિત કરવું અને સતત ઊર્જાવાન રહેવું જરૂરી હોય છે ત્યાં ચોક્કસ છોડ મૂડ-બૂસ્ટર તરીકે કામ કરે છે.

પીસ લીલી : આ છોડ એનાં સફેદ ફૂલો અને ઘાટાં લીલાં પાંદડાં સાથે સકારાત્મકતા લાવે છે. એ હવામાં ભેજ જાળવી રાખે છે અને કામ કરવાની ક્ષમતામાં વધારો કરે છે.

અરેકા પામ : લીલોતરીથી ભરપૂર આ પ્લાન્ટ રૂમની ઊર્જા બદલી નાખે છે. એનાં મોટાં પાંદડાં દૃષ્ટિને તાજગી આપે છે અને આળસ દૂર કરવામાં મદદ કરે છે.

તાજગી આપતા છોડ

લિવિંગરૂમ અથવા જ્યાં ઘરના બધા સભ્યો ભેગા થતા હોય ત્યાં ખુશખુશાલ માહોલ બનાવવો જરૂરી છે.

ઝેડ પ્લાન્ટ : વાસ્તુ અને ફેંગશુઈ મુજબ આ છોડ સમૃદ્ધિ અને ખુશીઓનું પ્રતીક માનવામાં આવે છે. એને નાના કૂંડામાં ટેબલ પર પણ રાખી શકાય છે.

મનીપ્લાન્ટ : ઝડપથી વધતો આ છોડ ઘરમાં જીવંતતા લાવે છે. એની સરળ સંભાળ અને લીલાં પાંદડાં ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ જાળવી રાખે છે.

lifestyle news life and style home decor fashion news fashion