01 June, 2025 06:49 AM IST | Mumbai | Kajal Rampariya
થોરાત બાર્બેક્યુ મિસળ રેસ્ટોરાં
મુંબઈની ઓળખ વડાપાંઉ છે એમ આખા મહારાષ્ટ્રની ઓળખ મિસળ-પાંઉ છે. ટૉપ ટેન સ્ટ્રીટ-ફૂડમાં સ્થાન મેળવી ચૂકેલું મિસળ-પાંઉ મહારાષ્ટ્રના વિવિધ પ્રદેશોની ખાસિયત દર્શાવે છે. જેમ કે કોલ્હાપુર, નાગપુર, નાશિક અને પુણે જેવાં શહેરોમાં મિસળનાં ટેસ્ટ અને રેસિપી અલગ જોવા મળશે; પણ આ બધાં જ શહેરોમાં બનતું મિસળ એક જ જગ્યાએ મળી રહે તો? અંધેરીના વર્સોવા વિસ્તારમાં આવેલી થોરાત બાર્બેક્યુ મિસળ રેસ્ટોરાં કોલ્હાપુર, પુણે અને નાશિકના ઑથેન્ટિક ટેસ્ટ ધરાવતાં મિસળ પીરસે છે એટલું જ નહીં; અહીં જૈન મિસળનો ઑપ્શન પણ ઉપલબ્ધ છે. આ રેસ્ટોરાં મૂળ પુણેમાં ખૂલી હતી. ત્યાં એની લોકપ્રિયતા વધતાં ચાર વર્ષ પહેલાં મંજુલતા બિરથારેએ મુંબઈમાં એની ફ્રૅન્ચાઇઝી શરૂ કરી હતી. ટૂંક સમયમાં આ મિસળને એટલી પૉપ્યુલરિટી મળી કે એે સેલેબ્રિટીઝનું ફેવરિટ મિસળ સ્પૉટ બની ગયું. અહીં સિંગર યો યો હની સિંહ, કોરિયોગ્રાફર અને ડાન્સર ગણેશ આચાર્ય અને RJ રૌનક ઉપરાંત ઘણી ટીવી-સેલિબ્રિટીઝ પણ મિસળનો આસ્વાદ માણવા આવે છે. સામાન્યપણે મિસળ-પાંઉનો ઑર્ડર કરીએ તો સિંગલ ગ્રેવીવાળું મિસળ જ પીરસાય છે, પણ અહીં ચાર પ્રકારનાં મિસળ એકસાથે મળી શકે છે. મિસળ પીરસવાની સ્ટાઇલ પણ યુનિક છે. રેસ્ટોરાંનું ઇન્ટીરિયર જોશો તો ટેબલમાં વચ્ચે મિસળ રાખવા માટે ખાંચો બનાવેલો છે અને ચારેય બાજુ લોકો બેસી શકે એ રીતે બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ટેબલના ખાંચામાં એક જ ટ્રેમાં ચાર ખાનાં હોય અને ચારેયમાં અલગ મિસળ હોય એ રીતે પીરસાય છે. કોલ્હાપુરી મિસળ બહુ જ સ્પાઇસી હોય છે ત્યારે પુણેના મિસળમાં તીખાશની સાથે ખટાશ પણ હોય છે. નાશિકનું મિસળ ઓછું તીખું હોય છે. એમાં કાંદા અને લીલું કોપરું એકદમ બ્રાઉન થાય એટલું શેકીને નાખવામાં આવતું હોવાથી એ થોડું ડાર્ક કલરનું હોય છે. જૈન મિસળને કાંદા-લસણ વગર બનાવાય છે. મિસળ પીરસવાની રીત યુનિક હોવાની સાથે એની સાથે ખવાતું ફરસાણ પણ યુનિક છે. સામાન્યપણે આપણે મિસળમાં ગાંઠિયા અને સેવનું ફરસાણ નાખતા હોઈએ છીએ, પણ આ મિસળ હાઉસમાં બટાટાનો મસાલો, બાફેલી મટકી અને વટાણા, કાંદા, ટમેટાં અને દહીં હોય છે. જેને જે પ્રકારે મિસળ ખાવું હોય એ રીતે કસ્ટમાઇઝ કરીને ખાઈ શકે એ રીતે પીરસવામાં આવે છે. વધુ એક મહત્ત્વની અને ફાયદાની વાત એ છે કે તમે ૧૫૦ રૂપિયામાં અનલિમિટેડ મિસળ અને ફરસાણ ખાઈ શકો છો.
ક્યાં છે? : શૉપ-નંબર ૨૧, જ્વેલ શૉપિંગ સેન્ટર, નાના-નાની પાર્ક પાસે, જે. પી. રોડ, સાત બંગલા, અંધેરી વેસ્ટ, વર્સોવા. સમય શું છે? દરરોજ સવારે ૮ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી.