13 May, 2025 02:53 PM IST | Mumbai | Dr. Meghal Sanghavi
પ્રતીકાત્મક તસવીર
આયુર્વેદમાં મંદાગ્નિને તમામ રોગોનું મૂળ કહ્યો છે. મંદાગ્નિ પાછળ આપણી ખોટી આહાર પદ્ધતિ જવાબદાર છે. ભોજનના કેટલાક નિયમો પાળો તો મંદાગ્નિથી બચી શકાય છે.
જેમ કે ભૂખ લાગે ત્યારે ખાવું, ભૂખ કરતાં ઓછું ખાવું, મીઠાઈ જમ્યા પછી નહીં પણ શરૂઆતમાં ખાવી. જમતી વખતે ૧૦૦ મિલીલિટરથી વધારે પાણી ન પીવું. જમ્યા પછી તરત પાણી ન પીવું, લુખ્ખો અને સૂકો આહાર ન લેવો. ભોજનમાં તીખો, ખાટો, ખારો, તૂરો, ગળ્યો અને કડવો આ છ પ્રકારના રસને સામેલ કરવા. ઋતુ મુજબ આહાર લેવો. જમીને તરત જ સૂવું નહીં. જમીને સો ડગલાં ચાલવું. જમતાં-જમતાં બીજી કોઈ પ્રવૃત્તિ ન કરવી. ચાવી-ચાવીને કડક આહાર પ્રવાહી બને અને પ્રવાહી આહાર થોડોક ઠોસ બને ત્યાં સુધી ચાવીને ખાવો. ટેસ્ટ વિનાનો, મન ન હોય એવો અણગમતો આહાર ન લેવો. જમતી વખતે મન શાંત રાખવું. વારંવાર ગરમ કરેલું ભોજન ન ખાવું. અતિશય ઠંડું, અતિશય ગરમ ન ખાવું. કોઈ પણ રસનો અતિરેક ભોજનમાં ન ખાવો. આ કેટલાક જમવાના સામાન્ય નિયમોનું પાલન કરો.
આગળ કહ્યું એમ પાચનતંત્ર બગડે એટલે સૌથી પહેલાં પેટના રોગો શરૂ થાય. અપચો, ગૅસ, ઍસિડિટી, પેટનું ફૂલવું, ઝાડા, કબજિયાત જેવી સમસ્યાઓથી બીમારીની શરૂઆત થતી હોય છે. એના પર ધ્યાન ન અપાય તો આગળ જતાં ડાયાબિટીઝ, હાઈ બ્લડપ્રેશર જેવી મોટી બીમારીઓમાં પરિણમી શકે છે. માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિનું પણ પાચન ખરાબ થતું હોય છે. મન અશાંત અને વ્યગ્ર હોય તો પૌષ્ટિક આહાર પણ ટૉક્સિન્સ પ્રોડ્યુસ કરી શકે છે જેને આયુર્વેદની ભાષામાં આમ કહેવાય.
જો પાચનશક્તિ મંદ છે તો એનાં કારણો જાણીને પહેલાં એ કારણો પર કાપ મૂકો. જઠરાગ્નિ સુધારવાના કેટલાક પ્રયોગો જણાવું છું. જોકે એનું અનુસરણ કોઈ આયુર્વેદિક ચિકિત્સકની સલાહ અનુસાર કરવું. દરરોજ સવારે હૂંફાળા પાણીમાં સૂંઠ નાખીને પીઓ. જમતા પહેલાં સંચળ, મીઠા અને કાળાં મરીમાં પલાળેલા આદુંના ટુકડા ચૂસી લેવા. એનાથી લાળ ઉત્પન્ન થશે. ભૂખ ન લાગતી હોય તો કાળાં મરી, સંચળ અને ફુદીનાનું પાણી પીવું. જમ્યા પછી જીરાનું પાણી પીવું. ગૅસ-અપચો થતો હોય તેમણે જીરું, અજમો, મેથી, સંચળ, વરિયાળી, હરડે અને સૂંઠનો પાઉડર બનાવીને એની એક ચમચી ફાકી લઈ લેવી. કબજિયાત રહેતી હોય તેમણે પોતાના ભોજનમાં પચીસ ટકા સેમી-કુક્ડ સૅલડ ઉમેરવું. સાંજે પણ બાફેલાં, સ્ટરફ્રાય કરેલાં વેજિટેબલ્સ ખાવાં. જમીને તરત સૂવું નહીં.