03 June, 2025 12:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
જે ઘરમાં નાનું બાળક હોય એ ઘરમાં પાલતુ પ્રાણીને રાખવાની વાત ઘણાં ઘરોમાં બિલકુલ માન્ય હોતી નથી. નાનાં બાળકો ગમેતેટલી જીદ કરે પણ તેને ઍલર્જી થઈ જશે કે બાળક વારંવાર માંદું પડશે એમ વિચારીને ઘરમાં કોઈ પાલતુ પ્રાણી ખાસ કરીને કૂતરાને રાખવાની મનાઈ ઘરના મોટેરાઓ ફરમાવી દેતા હોય છે. આપણે ત્યાં જે લોકોને પાલતુ પ્રાણીઓનો શોખ છે કે જેમના ઘરમાં ઑલરેડી પેટ્સ છે જ તેમના ઘરમાં પણ જ્યારે કોઈ સ્ત્રી પ્રેગ્નન્ટ હોય તો એ લોકો ઘરમાંથી એ પ્રાણીને હટાવવાની ચિંતામાં લાગી જતા હોય છે. પરંતુ પાલતુ કૂતરાથી બાળકને ઍલર્જી થતી નથી, ઊલટું બાળકને ઍલર્જીથી રક્ષણ મેળવવા માટે કૂતરું ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. સમાજમાં ઘણા લોકો એમ માને છે કે પાલતુ પ્રાણીઓથી બાળકોને ઍલર્જી કે ઇન્ફેક્શન થવાની શક્યતા રહે છે. પરંતુ હકીકતમાં પાલતુ પ્રાણી બાળકની ઇમ્યુન સિસ્ટમને સ્ટ્રૉન્ગ બનાવે છે અને બહારનાં ઇન્ફેક્શન અને ઍલર્જીથી બચાવે છે.
આપણી ઇમ્યુન સિસ્ટમ એવી છે કે એને સતત ટ્રેઇન કરતા રહેવું જરૂરી છે. જેટલા વધુ બૅક્ટેરિયા, વાઇરસ કે બહારનાં તત્ત્વોનો એ સામનો કરશે એટલી સારી રીતે એ એમની સામે લડી શકશે. આથી જો જન્મથી જ બાળકને એવું વાતાવરણ મળે તો તેની ઇમ્યુન સિસ્ટમ વધુ સ્ટ્રૉન્ગ બને. જેમ કે ગામડાની માટીમાં ઊછરેલું બાળક શહેરના ઍર-કન્ડિશન્ડ ઘરમાં ઊછરેલા બાળક કરતાં ઇમ્યુનિટીની દૃષ્ટિએ વધુ સ્ટ્રૉન્ગ હશે. આમ જેટલું એક્સપોઝર વધારે એટલી ઇમ્યુનિટી સ્ટ્રૉન્ગ બને છે.
સ્ત્રી પ્રેગ્નન્ટ હોય ત્યારથી જ એને પાળવામાં આવે તો એ બાળક માટે વધુ લાભદાયક રહેશે કારણ કે જન્મ પહેલાંથી જ તેને આ પ્રકારના વાતાવરણનો અભ્યાસ રહેશે. જેમના ઘરમાં માતા-પિતાને કે પરિવારના કોઈ પણ સદસ્યને ઍલર્જી કે અસ્થમા ન હોય તેના બાળકને મોટા ભાગે પેટ્સથી ઍલર્જી થતી નથી એટલે એ લોકો વગર ચિંતાએ બાળકની ઇમ્યુનિટી સ્ટ્રૉન્ગ બનાવવા કૂતરાને પાળી શકે છે. જે માતા-પિતાને કે જેમના ઘરમાં કે પરિવારમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઍલર્જી કે અસ્થમા હોય તો પેટ્સ રાખતા પહેલાં તેમણે ડૉક્ટરની સલાહ લેવી. ઘણી વખત એવું પણ બને છે કે લોકોને પોતાને ઍલર્જી છે એવી ખબર હોતી નથી, કારણ કે ક્યારેય તે પેટ્સના સંપર્કમાં આવ્યા હોતા જ નથી કે તેમને ખ્યાલ આવે કે તેમને ઍલર્જી છે. આ કન્ડિશનમાં પણ જ્યારે કોઈ પણ લક્ષણ સામે આવે અને થોડી પણ શંકા જાય તો તરત જ નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જરૂરી છે નહીંતર બાળકને ઍલર્જીથી બચાવવા તમે કૂતરાને ઘરમાં લાવો છો એનો શિકાર તમે જ પહેલા બનશો.
-ડૉ. અમિતા દોશી નેને