22 February, 2025 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડૉ. સચિન ત્રિવેદી એમબીબીએસ, એમઆરસીપી (લંડન), એમઆરસીપી (યુકે) સીસીએસટી (મેડિકલ ઓન્કોલોજી) એસસીઈ, એફઆરસીપી (એડિન), પીએચડી મેડિકલ ઓન્કોલોજીના ડિરેક્ટર
તમારી ગણના દેશના ટોચના કૅન્સર સ્પેશ્યલિસ્ટ્સમાં થાય છે. તમારા વિશે જણાવશો?
મને ટોચના કૅન્સર સ્પેશ્યલિસ્ટ્સમાં ગણવા બદલ આભાર. હું તાજેતરમાં ભારત પાછો આવ્યો છું. અહીં પણ ભગવાનની કૃપાથી મોટા ભાગના દરદીઓની સારવારમાં મને ઉત્તમ પરિણામ મળ્યાં છે એથી હું ખૂબ ખુશ છું. હું મેડિકલ ઑન્કૉલૉજિસ્ટ છું અને આજની તારીખમાં ઉપલબ્ધ લેટેસ્ટ પદ્ધતિ સાથે થતી કૅન્સરની સારવારમાં નિષ્ણાત છું. મેં ઇમ્યુનોથેરપી, ટાર્ગેટેડ થેરપી, કીમો થેરપી, વ્યક્તિગત થેરપી અને પ્રિસિઝ મેડિસિન વડે થતી કૅન્સરની સારવાર કરવામાં નિપુણતા મેળવી છે. હું મુખ્યત્વે પર્સનલાઇઝ્ડ, પ્રિસાઇઝ અને ટાર્ગેટેડ થેરપી (PPT મૉડલ)ના સિદ્ધાંત પર કામ કરું છું.
તમે કહ્યું કે તમે તાજેતરમાં ભારત પાછા આવ્યા છો. પહેલાં ક્યાં હતા અને શું કરી રહ્યા હતા?
હું ૨૦૨૩માં ભારત પાછો આવ્યો છું. એનાથી પહેલાં ૧૫ વર્ષથી વધુ સમય UKમાં હતો. મેં ઇંગ્લૅન્ડની સૌથી પ્રતિષ્ઠિત હૉસ્પિટલમાં પ્રૅક્ટિસ કરી છે. જેમ કે લંડનની રૉયલ માર્સડેન હૉસ્પિટલ જે વિશ્વની વન ઑફ ધ બેસ્ટ કૅન્સરને સમર્પિત હૉસ્પિટલોમાંની એક છે. મેં ક્વીન એલિઝાબેથ હૉસ્પિટલ્સ બર્મિંગહૅમ અને નૉટિંગહૅમ યુનિવર્સિટી હૉસ્પિટલ્સમાં પણ કામ કર્યું છે. નૉટિંગહૅમ હૉસ્પિટલ NHS ટ્રસ્ટ અને શેરવુડ ફૉરેસ્ટ હૉસ્પિટલ ટ્રસ્ટના ઑન્કૉલૉજીના વડા તરીકે સેવા આપવાનો મને વિશેષાધિકાર મળ્યો હતો. ક્લિનિકલ ટ્રાયલ પર કામ કરતી વખતે અને કૅન્સરના દરદીઓના જીવનને સુધારવા માટે નવી વ્યૂહરચના વિકસાવતી વખતે વિશ્વના શ્રેષ્ઠ ડૉક્ટરો સાથે કામ કરવાનો એ એક અદ્વિતીય અનુભવ હતો.
MBBS, MRCP, CCST, SCE, FRCP અને PhD જેવી ઘણી બધી ડિગ્રીઓ આપની પાસે છે!
અદ્યતન ટેક્નૉલૉજી વડે દરદીઓની સારવાર કઈ રીતે કરી શકાય એ બાબત મારા માટે કાયમ પ્રાયોરિટી પર રહી છે અને એ કાર્યમાં શ્રેષ્ઠ કૌશલ્ય કેળવાય એ માટે આ ડિગ્રીઓ લીધી. મેડિકલ ઑન્કૉલૉજીમાં થતાં ક્લિનિકલ સંશોધનોને સમજવા અને પછી એ લેટેસ્ટ તારણોનો ઉપયોગ ક્લિનિકલ પ્રૅક્ટિસમાં કરવા બાબતે સક્ષમ બનવાની જરૂર છે. ઑન્કૉલૉજિસ્ટ બનવાની મારી સફર દરમ્યાન હું આ વાત કાયમ ધ્યાનમાં રાખું છું અને મારા નૉલેજને અપડેટ કરતો રહું છું.
આટલાં વર્ષો પછી તમે ભારત પાછા આવ્યા એની પાછળ કયું પરિબળ નિમિત્ત બન્યું?
આ તમે સારો પ્રશ્ન પૂછ્યો. મેં મારું મોટા ભાગનું વ્યાવસાયિક જીવન UKમાં કૅન્સરની સારવારમાં વિતાવ્યું છે. મેં ત્યાં જ તમામ ડિગ્રીઓ મેળવી, NHSમાં ખૂબ જ વ્યસ્ત પ્રૅક્ટિસ કરી. ત્યાં મારી પ્રાઇવેટ પ્રૅક્ટિસ પણ સારી હતી. નૉટિંગહૅમ ખાતે ઑન્કૉલૉજી સેવાઓનો વડો બનનાર હું કદાચ પ્રથમ ભારતીય પાસપોર્ટધારક હતો. આ બધું કર્યા પછી પણ મને સતત એવું લાગ્યા કરતું કે મારે દેશમાં પાછા જવું જોઈએ અને આપણા લોકોની સંભાળ લેવી જોઈએ. મારા દેશ, મારા લોકો અને મારા પરિવાર માટે મેં પાછા આવવાનો નિર્ણય લીધો. મારું લક્ષ્ય ભારતમાં કૅન્સરના દરદીઓને વિશ્વકક્ષાની સારવાર આપવાનું છે.
આ તો તમે ખૂબ સરસ નિર્ણય લીધો. કૅન્સર એટલે ઍક્ચ્યુઅલી છે શું?
આ એક એવો પ્રશ્ન છે જે સામાન્ય રીતે બધાને જ થતો હોય છે અને મને સૌથી વધુ પુછાતો પ્રશ્ન પણ આ જ છે! આને સમજીએ. આપણું શરીર નાના-નાના અસંખ્ય કોષોનું બનેલું છે. આ કોષો સેલ ડિવિઝન નામની પ્રક્રિયા દ્વારા ગુણાકાર કરવાની ક્ષમતા ધરાવે છે. રસપ્રદ વાત એ છે કે આ કોષો જાણે છે કે ક્યારે વિભાજન કરવું અને ક્યારે વિભાજન કરવાનું બંધ કરવું. હવે ક્યારેક કોષોની આનુવંશિક સંરચનામાં કોઈક એરરને લીધે કોષોનો અનિયંત્રિત રીતે ગુણાકાર થવા માંડે છે. આ અનિયંત્રિત ગુણાકારને કારણે થતી કોષોની અતિવૃદ્ધિ કૅન્સર ડેવલપમેન્ટ તરફ દોરી જાય છે.
કૅન્સર કેવી રીતે થાય છે?
ફરી આ એક સારો પ્રશ્ન પૂછ્યો છે. કૅન્સર થવાનાં ઘણાં કારણો છે. જેમ કે ધૂમ્રપાન, તમાકુનો ઉપયોગ, પ્રદૂષણ, રેડિયેશન, રસાયણો જેવાં પરિબળો કોષોના DNAને સીધું નુકસાન પહોંચાડે છે અને આને કારણે શરીરમાં કૅન્સર ડેવલપ થાય છે. અમુક ચોક્કસ ઇન્ફેક્શન્સ છે; જેમ કે HPV, HBV વગેરે. એને કારણે પણ કૅન્સર ડેવલપ થઈ શકે છે. બીજાં પણ ઘણાં પરિબળો છે જેને કારણે કૅન્સર ડેવલપ થાય છે.
શું કૅન્સરમાંથી સંપૂર્ણપણે સાજા થઈ શકાય છે?
જવાબ જાણીને તમને આશ્ચર્ય થશે, પરંતુ આનો જવાબ મને ‘હા’માં આપવાનું ગમશે. હા, આપણે કૅન્સરનો ઇલાજ કરી શકીએ છીએ. જોકે એમાં અમુક શરતો છે. આપણે કૅન્સરને કેટલું વહેલું પકડીએ છીએ એ સૌથી અગત્યની બાબત છે. કૅન્સર જેટલુ વહેલું ડિટેક્ટ થશે એમાંથી સંપૂર્ણપણે સાજા થવાની શક્યતાઓ એટલી જ વધુ રહે છે. એ ઉપરાંત બીજી મહત્ત્વની શરત એ છે કે તમને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળે. એ માટે તમારે શક્ય એટલી વહેલી તકે ઑન્કૉલૉજિસ્ટને મળવું જોઈએ.
કૅન્સરને અર્લી સ્ટેજમાં કઈ રીતે ઓળખી શકાય?
સૌથી અગત્યની વાત એ કે તમારે કૅન્સર અને એનાં લક્ષણો વિશે પોતાને શિક્ષિત કરવાની જરૂર છે. કૅન્સર અવેરનેસના ઘણા કાર્યક્રમો થતા હોય છે. હું પોતે ઘણા બધા કાર્યક્રમોમાં સામેલ થયો છું. દરેક જણે વ્યક્તિગત રીતે પણ કૅન્સર વિશે માહિતી મેળવવાની જરૂર છે. હું આ વિષય પર ટૂંક સમયમાં પૉડકાસ્ટ શરૂ કરવાનો છું. જો તમને કોઈ નાનકડી પણ ઍબ્નૉર્મલિટી કે શંકા ઉત્પન્ન થાય તો તરત તમારા ડૉક્ટરની મુલાકાત લેવી જોઈએ અને રેગ્યુલર સ્ક્રીનિંગ પ્રોગ્રામ માટે નોંધણી કરાવવી જોઈએ. મારા જેવા ઑન્કૉલૉજિસ્ટ પણ તમને વહેલી તપાસ માટે સ્ક્રીનિંગ સ્ટ્રૅટેજિસનું આયોજન કરવામાં મદદ કરી શકે છે.
ઍડ્વાન્સ સ્ટેજનું કૅન્સર હોય એ દરદીઓનું શું થાય?
ઍડ્વાન્સ સ્ટેજનું કૅન્સર હોય એવા દરદીઓમાં પણ ટ્રીટમેન્ટ દરમ્યાન રોગને સારી રીતે નિયંત્રિત કરી શકાય છે અને દરદી સામાન્ય જીવન જીવી શકે છે. આજે મેડિકલ સાયન્સે એટલી પ્રગતિ કરી છે કે આપણે કૅન્સર સામે પહેલાં કરતાં વધુ તૈયારી સાથે લડી શકીએ છીએ.
જો કોઈને કૅન્સર થાય તો તેણે શું કરવું જોઈએ?
હું સમજું છું કે કૅન્સરનું નિદાન એ ખૂબ ડરામણી સ્થિતિ હોઈ શકે છે. એનો સામનો કરવાની સૌથી પહેલી શરત એ છે કે એનાથી ગભરાવું નહીં. હિંમત રાખવી અને વહેલી તકે ઑન્કૉલૉજિસ્ટને મળવું જેથી સમયસર સારવાર શરૂ કરી શકાય. આજે કૅન્સરની સારવાર માટે ઘણી બધી ટ્રીટમેન્ટ અવેલેબલ છે.
દરદી તમને કેવી રીતે કન્સલ્ટ કરી શકે?
હું કૂપરેજ કોલાબા અને બોરીવલીના HCG કેન્દ્રોમાં કન્સલ્ટેશન આપું છું. ગિરગાવ દક્ષિણ મુંબઈમાં, ઇસ્કૉન મંદિરની બાજુમાં મારું ક્લિનિક છે. ત્યાં પણ દરદીઓને જોઉં છું. એ ઉપરાંત તમે મારા ઈ-મેઇલ drsachintrivedi@gmail.com પર સીધો સંપર્ક કરી શકો છે અથવા મને 8237939754 પર કૉલ કે વૉટ્સઍપ પણ કરી શકો છો.