જેટલું ધ્યાન હાર્ટનું રાખો છો એટલું જ લિવરનું પણ રાખો

07 June, 2025 07:22 AM IST  |  Mumbai | Dr. Samir Shah

જ્યારે ચિહનો સામે આવે ત્યારે ઑલરેડી લિવર ૯૦ ટકા જેટલું ડૅમેજ થઈ ચૂક્યું હોય છે અને પછી આપણે કંઈ કરી શકતા નથી.

પ્રતીકાત્મક તસવીર

માણસ માત્ર ભેદભાવ કરે છે. બીજા માણસો સાથે જ નહીં પરંતુ પોતાના શરીરનાં અંગો સાથે પણ. આજકાલ ડાયાબિટીઝ, બ્લડપ્રેશર અને કૉલેસ્ટરોલ જેવા પ્રૉબ્લેમ ખૂબ જ વધી ગયા છે એને કારણે લોકો પોતાના હાર્ટની ચિંતા ઘણી કરવા લાગ્યા છે. હાર્ટ-અટૅક આવશે તો થતા નુકસાન વિશે બધા વિચારે છે, પરંતુ લિવર ખરાબ થઈ જશે કે લિવરનું ધ્યાન રાખવું જરૂરી છે એવું કોઈ વિચારતું નથી. ડાયાબિટીઝ, બ્લડપ્રેશર અને કૉલેસ્ટરોલ લિવરને પણ એટલું જ ડૅમેજ કરે છે પરંતુ આ રોગના દરદીઓ લિવરની ચિંતા કરતા નથી. એક ગણતરી મુજબ જો કોઈને હાર્ટ-અટૅક આવે તો તેના મૃત્યુની શક્યતા ૨૫ ટકા રહેલી છે જ્યારે કોઈ વ્યક્તિને લિવર સિરોસિસ થાય તો તેના મૃત્યુની શક્યતા ૫૦ ટકા જેટલી થઈ જાય છે. લિવર એક એવું અંગ છે જે ચૂપચાપ સહન કર્યે રાખે છે અને એ ખરાબ થઈ રહ્યું હોય ત્યારે આપણને કોઈ ચિહનો બતાવતું નથી. જ્યારે ચિહનો સામે આવે ત્યારે ઑલરેડી લિવર ૯૦ ટકા જેટલું ડૅમેજ થઈ ચૂક્યું હોય છે અને પછી આપણે કંઈ કરી શકતા નથી.

લિવરનું ધ્યાન રાખવા માટે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ડાયટમાં બૅલૅન્સ ડાયટ હોવું જરૂરી છે. બૅલૅન્સમાં આપણે શાકભાજી અને દાળ કે કઠોળનું પ્રમાણ રોટલી અને ભાત કરતાં વધારે રાખવું જરૂરી છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું અને પછી એકદમ જ વધારે પડતું ખાઈએ ત્યારે લિવરને એની ક્ષમતા કરતાં વધુ મહેનતથી કામ કરવું પડે છે. જરૂરી છે કે વ્યક્તિ પોતાના નિયત સમયે ખોરાક લે. તો લિવર વ્યવસ્થિત કામ કરી શકે.

હેપેટાઇટિસ A અને હેપેટાઇટિસ E મલિન પાણીથી ફેલાતા રોગ છે. દૂષિત પાણીમાં આ વાઇરસ વધુ સમય સુધી જીવી શકે છે. પીવાનું પાણી હંમેશાં શુદ્ધ હોવું જરૂરી છે. એટલે પાણી ઉકાળીને પીઓ. આ સિવાય કાચી શકભાજી ન ખાઓ, પકવેલો ખોરાક જ ખાઓ જેથી એની અંદર પણ આ વાઇરસ હોય તો એ નાશ પામે. એક્સરસાઇઝ પણ ખૂબ જ મહત્ત્વની છે. કોઈ પણ પ્રકારની, ખાસ કરીને એરોબિક એક્સરસાઇઝ લિવરને ઉપયોગી સાબિત થાય છે. લિવરના રોગોને જો રસી દ્વારા રોકી શકાતા હોય તો ચોક્કસ રોકવા જોઈએ. હેપેટાઇટિસ Bની વૅક્સિન દરેક વ્યક્તિએ લેવી જરૂરી છે. આ ઉપરાંત હેપેટાઇટિસ Aની વૅક્સિ પણ આવે છે જે લેવી જોઈએ. ૨૦૦૨ પહેલાં જેમને કોઈ પણ કારણસર બ્લડ ચડાવવાની જરૂર પડી હોય એમણે હેપેટાઇટિસ Cની ટેસ્ટ કરાવવી જરૂરી છે, કારણ કે ૨૦૦૨ પછી બ્લડ ચડાવતાં પહેલાં હેપેટાઇટિસ Cના વાઇરસ ચેક કરવાનો કાયદો લાગુ પડ્યો હતો.

health tips diabetes heart attack life and style columnists gujarati mid-day mumbai